શું ઠાકરે ફરી ભાજપ સાથે આવશે? ભાજપના દિગ્ગજ નેતાની ગુપચુપ મુલાકાતથી MVAમાં દોડાદોડી

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવતા જ શિવસેના યુબીટીની વડા ઉદ્ધવ ઠાકરે અને ભાજપના દિગ્ગજ નેતા દેવેન્દ્ર ફડણવીસે નવો જ ખેલ શરૂ કરી દીધો હોવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપના દિગ્ગજ નેતા દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરે વચ્ચે મુલાકાત થઈ છે. આ મુલાકાત કયા કારણોસર થઈ તેના અહેવાલો સામે આવ્યા નથી, પરંતુ આ વાત સામે આવ્યા બાદ રાજ્યના રાજકારણ નવાજૂની થવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

કોંગ્રેસ અને શિવસેના યુબીટી વચ્ચે બેઠક વહેંચણી મુદ્દે મતભેદ
મળતા અહેવાલો મુજબ ઉદ્ધવ ઠાકરે દ્વારા બેઠકનો પ્રસ્તાવ રખાયો હતો, જેમાં બંને નેતાઓ વચ્ચે મુલાકાત વખતે કેટલીક ચર્ચાઓ થઈ છે. જોકે બંને નેતાઓ વચ્ચે શું ચર્ચા થઈ તેની વિગતો સામે આવી નથી. એવું કહેવાય છે કે, બંને નેતાઓ વચ્ચે રાજકીય વાતચીત થઈ છે, જોકે મામલો આગળ વધી શક્યો નથી. મહાવિકાસ અઘાડીના સાથી પક્ષ કોંગ્રેસ અને શિવસેના યુબીટી વચ્ચે બેઠક વહેંચણી મુદ્દે મતભેદ ચાલી રહ્યો છે. તેથી જ ઉદ્ધવ અને દેવેન્દ્ર ફડણવીસની મુલાકાતને ઉદ્ધવનો બી પ્લાન હોઈ શકે છે.

ભાજપે 99 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી

ઉલ્લેખનીય છે કે, એકતરફ ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીની મહાયુતિ ગઠબંધને ઉમેદવારોના નામ જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, તો બીજીતરફ ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટી, કોંગ્રેસ અને શરદ પવારની એનસીપીના મહાવિકાસ અઘાડી (MVA)ગઠબંધનમાં બેઠકોની વહેંચણી મુદ્દે ભારે વિવાદ ચાલી રહ્યો છે. ભાજપે તાજેતરમાં જ 99 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, જ્યારે એમવીએ દ્વારા હજુ સુધી એકપણ ઉમેદવારના નામ જાહેર કરાયા નથી. શિવસેના યુબીટી અને કોંગ્રેસ વચ્ચે ઘણા સમયથી મતભેદ ચાલી રહ્યો છે, જેના કારણે ઠાકરે નારાજ થાય હોવાનું કહેવાય છે. આ મતભેદ વચ્ચે ઠાકરેએ ફડણવીસ સાથે મુલાકાત કરતા રાજ્યમાં આગામી સમયમાં નવાજૂની થવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

 

 

 

 

 

 

Scroll to Top