Thakor Samaj Sammelan | પાટણ (Patan)માં ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના એક સંમેલનમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયેલા ઠાકોર સમાજના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જે નેતાઓ સમાજની વાતો કરતા હતા અને તેના માટે લડતા હતા, તેઓ ભાજપમાં જોડાયા બાદ મૌન બની જાય છે. ઠાકોર સમાજના નેતાઓને નખ વિનાના સિંહ બનાવી ભાજપે વાડામાં પૂરી દીધા છે. કલોલના પૂર્વ ધારાસભ્યએ પણ ભાજપમાં ગયેલા અલ્પેશ ઠાકોર પર પરોક્ષ રીતે પ્રહાર કરતા તેમનુું નામ લીધા વગર તેમને ‘નખ વગરના સિંહ’ ગણાવ્યા.
સમાજના ઉત્થાન માટે મહાસંમેલન
પાટણ યુનિવર્સિટીના રંગ ભવન ખાતે ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજનું સંમેલન મળ્યું હતું જેમાં કોંગ્રેસના અમિત ચાવડા, પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, ભરતસિંહ સોલંકી, બળદેવજી ઠાકોર સહિતના ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં મહાનુભાવોએ સમાજમાંથી કૂરિવાજો દૂર કરવા વ્યસન મુક્તિ ને દૂર કરી યુવા યુવતીઓને ફરજિયાત પણે શિક્ષણ આપવું ખોટા ખર્ચાઓ દૂર કરવા સહિતના અલગ અલગ મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરી હતી.
ગેનીબેન ઠાકોરનો હુંકાર
સંમેલનમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, સરકારમાં રહેલા ઠાકોર સમાજના ધારાસભ્યો તેમજ મંત્રીઓને પાવર વગરના પ્રધાન જ કહેવાય. ઠાકોર સમાજની સરકાર પાસે જે માંગણીઓ કરેલી છે તે ભાજપમાં રહેલા ઠાકોર સમાજના નેતાઓ માંગણીઓ પુરી કરાવશે તો અમે તેમનો પણ આભાર માનીશું. ઠાકોર સમાજના રાજકીય, સામાજિક, આર્થિક તેમજ શૈક્ષણિક રીતે જે લાભ સમાજને મળવો જોઈએ તે નથી મળતો.
સરકાર દ્વારા ઠાકોર સમાજને અન્યાય
અમિત ચાવડાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ખાસ કરીને છેલ્લા ત્રણ દાયકામાં સરકાર દ્વારા સૌથી વધુ વસ્તી ધરાવતા ઠાકોર સમાજ, બક્ષીપંચ સમાજ એસ.સી એસટી સમાજો વસ્તીના ધોરણે બજેટની ફાળવણી કરવામાં આવતી નથી. બક્ષીપંચ સમાજ સહિત અન્ય સમાજોમાં વિકાસની ફાળવણીમાં હિસ્સેદારીમાં સરકાર દ્વારા સત્ય અન્યાય કરવામાં આવી રહ્યો છે.