તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં ફટાકડાના ઉત્પાદન કરતી ફેકટરીમાં વિસ્ફોટ થતા છ કામદારોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર આ વિસ્ફોટ કેમિકલ ભેળવવાની પ્રક્રિયા દરમિયાન થયો હતો, જેના કારણે એક રૂમ સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર ફાયર અને રેસ્ક્યુ વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
વિસ્ફોટ કેમિકલ ભેળવવાની પ્રક્રિયા દરમિયાન થયો
આ ફટાકડા બનાવવાની ફેક્ટરી અપ્પનાયકનપટ્ટી પંચાયતના બોમાયપુરમ ગામમાં આવેલી છે, જે બાલાજી નામનો વ્યક્તિ ચલાવે છે. આ ઘટના ત્યારે બની જ્યારે ફેક્ટરીમાં કામ ચાલી રહ્યું હતું અને કર્મચારીઓ તેમના નિયમિત કામમાં વ્યસ્ત હતા. ફેકટરીમાં અન્ય કામદારોને બહાર કાઢવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે ફાયરબ્રિગેટ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી ચાલુ કરી.
આ ફેક્ટરીના 35 રૂમમાં 80 થી વધુ કામદારો કામ કરે છે
મૃતકોની ઓળખ વેલમુરુગન, નાગરાજ, કન્નન, કામરાજ, શિવકુમાર અને મીનાક્ષી સુંદરમ તરીકે થઈ હતી જેઓ વિસ્ફોટમાં મૃત્યુ પામ્યા હતા. આ ઉપરાંત અન્ય એક વ્યક્તિને ગંભીર હાલતમાં વિરુધુનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.તમને જણાવી દઈએ કે આ ફેક્ટરીના 35 રૂમમાં 80 થી વધુ કામદારો કામ કરે છે.