Surendranagar | રેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો 43 ડીગ્રીને પાર પહોચી ગયો છે ત્યારે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર કાળઝાળ ગરમીમાં જામવાડીમાં ફરીથી ખનીજ ચોરી શરૂ ના થાય એ માટે ખાટલામાં બેસી નજર રાખી રહ્યા છે. જ્યારે ઉમરડામાં પણ ખનીજ ચોરી થયેલી જગ્યાનો સર્વે કરાઈ રહ્યો છે.
થાનગઢના જામવાડીની સીમમાં ચોટીલા ડેપ્યુટી કલેકટર એચ.ટી.મકવાણાએ સૌરાષ્ટ્રની સૌથી મોટી રેડ કરી 247 કૂવામાં 125 કરોડ જેટલી કિંમતની ખનીજ ચોરી ઝડપી લીધી હતી. જ્યાં ફરીથી ખનીજ ચોરી શરૂના થાય એ માટે મામલતદારની ટીમ પેટ્રોલિંગ કરે છે. આ સાથે 43 ડીગ્રી ગરમીમાં ડેપ્યુટી કલેક્ટર રજાના દિવસે પણ જામવાડીમાં તપાસ કરવા પહોંચ્યા હતા.
મૂળીના 5 ગામમાં જે ખનીજ ચોરીના દરોડા પાડ્યા હતા તે જમીન કોની છે અને કેટલી ખનીજની ચોરી કરાઈ છે તેનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. બીજી બાજુ જામવાડીમાં વર્તમાન સમયે પણ 10 ટકા જેટલા મજૂરો તંબુ નાખીને રહે છે તેમને દૂર કરવા માટેના આદેશો આપીને કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉમરડા ગામની સીમમાં ઝડપાયેલી ખનીજ ચોરીની જમીનની માલિકીનો સર્વે મહેસૂલી ટીમ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. ઉમરડામાં પણ ખાનગી જમીન ઉપર થયેલી ખનીજ ચોરીવાળા ખાતેદારો ઉપર મહેસૂલી રાહે કાર્યવાહી શરૂ કરાતાં ખનીજ માફ્યિાઓમાં ફ્ફ્ળાટ વ્યાપી ગયો છે. ચોટીલા ડેપ્યુટી કલેકટર એચ.ટી.મકવાણાએ જણાવ્યું કે જામવાડી હોય કે ઉમરડા ક્યાંય ખનીજ ચોરી ફરીથી ચાલુ નો થાય એટલે સતત પેટ્રોલિંગ તો ચાલુ જ છે. સાથે માલિકીની જમીનની ખાતરી કરી ખાતેદારો સામે પણ વિવિધ મહેસૂલી કલમો હેઠળ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લાના થાન, મૂળી અને સાયલા પંથકના ગામોમાં ગેરકાયદે રીતે કાળા કોલસા અને સફેદ માટીની ખનીજ ચોરી કરી કરોડો કમાઇને બેઠેલા ભૂમાફિયાઓ સરકારી તંત્રને પણ ગાંઠતા ન હતા. ત્યારે ચોટીલા પ્રાંત એચ.ટી. મકવાણાએ પોતાના વિસ્તારમાં આવતા થાનના જામવાડી, ભલુડો અને મૂળીના વગડીયા, આસુન્દ્રાળી, ઉમરડા, ગઢડા અને ખંપાળીયામાં દરોડા પાડીને મોટાપાયે ખનીજ ચોરી પકડી લીધી હતી.