Surat News | સુરત (Surat)ના કપોદ્રામાં 9મી એપ્રિલ, બુધવારે અનભ જેમ્સ નામના કારખાનામાં 118 રત્નકલાકારો (Ratna Kalakar) ને કુલરનું પાણી પીધા પછી ઝેરી દવાની અસર થઈ હતી. રત્નકલાકારોને કિરણ અને ડાયમંડ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. જેમાંથી 6ને આઈ.સી.યુ.માં દાખલ કરાયા હતા. પાણીના કુલરમાં સેલફોસની ગોળીઓ નાખ્યાની આશંકા છે. તેમાં પાણીમાં ઝેર ભળ્યું છે કે નહિ તે માટે સેમ્પલ લેવાયા છે. તથા સમગ્ર મામલે FSLની પણ મદદ લેવામાં આવી છે.
કારખાનામાં 120 કર્મચારી કામ કરે છે
મળતી માહિતી અનુસાર, સુરતના કાપોદ્રા (Kapodara) વિસ્તારમાં મીલેનીયમ કોમ્પ્લેક્સ (Millennium Complex)માં અનભ જેમ્સ (Anabh Gems) નામનું હીરાનું કારખાનું આવેલું છે, ગત રોજ સવારે સાડા આઠ વાગ્યે રાબેતા મુજબ 120થી વધુ કર્મચારીઓ નોકરીએ આવ્યા હતા. નોકરી પર આવ્યાના એકાદ કલાક એટલે કે સાડા 9 વાગ્યા આસપાસ સંખ્યાબંધ રત્નકલાકારોએ ચક્કર આવવા લાગ્યા હતા, એ સાથે શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોવાની ફરિયાદ કરી હતી. ચક્કર આવવાની ફરિયાદ સાથે આ કારખાનામાં નોકરી કરતાં 118 કરતાં વધુ રત્નકલાકારોની હાલત કથળતાં મામલો ગંભીર બન્યો હતો.
કૂલરમાંથી સેલફોસની પડીકી મળી
મેનેજરના ભાણિયા નિકુંજ નામના યુવકે સુપરવિઝન કરતાં મામા કાંતિભાઈને પાણીના ફિલ્ટરમાંથી દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ કરતાં પેઢીના મેઈન મેનેજર હરેશભાઈએ પાણીનું ફિલ્ટર ચેક કરાવ્યું હતું. કૂલરની અંદરથી સેલફોસનું પાઉચ (Celphos Pouch) તરી રહ્યું હતું. ઉપરનું પ્લાસ્ટિક ફાટેલું હતું અને અંદર કાગળમાં પેક ગોળીઓ પાણીમાં ભળી ગયાની શંકા સાથે જ અફરાતફરી મચી ગઈ હતી. કોઈએ આ રત્નકલાકારોની સામૂહિક હત્યા કરવાના ઈરાદે અનાજમાં જીવાત પડતી રોકવા વપરાતી આ ગોળીનું પાઉચ પાણીમાં ભેળવી દીધું હોવાની વાતે આખા કારખાનામાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
પોલીસે રત્નકલાકરોના નિવેદન લીધા
આ મામલે પોલીસ દ્વારા હત્યાના પ્રયાસ BNS 109 (1)ની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. જે જગ્યા પર ફિલ્ટર હતું ત્યાં સીસીટીવી નથી. કારખાનાથી વાકેફ હોય તેવા વ્યક્તિ એટલે કે કારખાના કારીગર દ્વારા જ આ કૃત્ય કરવામાં આવ્યું હોય તેવી આશંકા છે. જેથી પોલીસ FSLની સાથે ટીમ બનાવીને અસરગસ્ત 118 સહિત કારખાનામાં બેસતા તમામ રત્નકલાકારોના નિવેદન લેવામાં આવી રહ્યા છે.
શંકાસ્પદોની પુછપરછ કરી
આ મામલે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે, ‘શંકાસ્પદ જણાયેલા ચારથી પાંચ જેટલા કારીગરોની કાપોદ્રા પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. આ સાથે જ ટીમો બનાવીને વધુ તપાસ ચાલી રહી છે. અનભ જેમ્સના કારીગરોના લિસ્ટ પ્રમાણે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે જ અનભ જેમ્સની અંદર આવેલા ડીલર અને સબ ડીલરની પણ તપાસ કરવામાં આવી રહી છે. જેના માટે ત્રણ ટીમ બનાવવામાં આવી છે. અત્યાર સુધીની પૂછપરછ હજુ કંઈ નક્કર વાત સામે આવી નથી. અત્યાર સુધીમાં 50 જેટલા નિવેદન પણ લેવામાં આવ્યા છે.