જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત 26ના મોત નીપજ્યા હતા. આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં દેશ છોડવાની જાહેરાત કરી હતી, ત્યારે ગુજરાત સરકાર પણ એક્શન મોડમાં આવી ગઇ છે અને પાકિસ્તાનીઓ સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે.
પહેલગામમાં આતંકી હુમલા (Pahalgam terror attack) પછી ભારતે પાકિસ્તાન (Pakistan)ને આકરો સંદેશો આપતા બુધવારે સાર્ક વિઝા હેઠળ આવેલા પાકિસ્તાનીઓને દેશ છોડવા આદેશ કર્યો હતો. ભારત સરકારે હવે ગુરુવારે પાકિસ્તાની નાગરિકોના મેડિકલ સહિત તમામ પ્રકારના વિઝા રદ કરી દીધા છે અને તેમને 29 એપ્રિલ સુધીમાં ભારત છોડી દેવા આદેશ કર્યો છે.
કેન્દ્ર સરકારના આદેશ બાદ ગુજરાત સરકાર (Gujarat Government) પણ એક્શન મોડમાં આવી ગઇ છે અને પાકિસ્તાનીઓ સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે. આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં દેશ છોડવાની જાહેરાત કરી હતી, જોકે, આ નિર્ણય પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓ (Hindu refugees) ને પહેલાથી જ જારી કરાયેલા લાંબા ગાળાના વિઝા (LTV) પર લાગુ થશે નહીં.
કેન્દ્ર સરકારના આદેશ બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) એ પાકિસ્તાનથી આવેલા નાગરિકોને તાત્કાલિક ધોરણે પરત મોકલવા તમામ જિલ્લાઓના કલેક્ટર અને SPને સૂચના આપી છે. પાકિસ્તાની નાગરિકો પાકિસ્તાન મોકલવાની ગુજરાતમાં તૈયારીઓ શરૂ થઇ છે. જ્યારે જે હિંદુ શરણાર્થીઓ પાકિસ્તાનથી આવ્યા છે તેમની સામે કંઈ કાર્યવાહી કરવામાં નહીં આવે.
કેન્દ્રન સરકારનું આ પગલું જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ લેવામાં આવ્યું છે. આ હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં ગુજરાતના ત્રણ અને બે વિદેશી સામેલ છે. આ ક્રૂર આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર પાકિસ્તાનનો બહિષ્કાર કરતાં વિવિધ પ્રતિબંધો મૂકી રહી છે. વિદેશી બાબતોના મંત્રાલયે ભારતીયોને પાકિસ્તાનનો પ્રવાસ ન કરવા ચોખ્ખી ના પાડી છે.