Gujarat News: પહલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાતમાં રહેતા ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી હાથ ધરાવામાં આવી છે. અમદાવાદ અને સુરતથ શહેરમાં પોલીસે દરોડા પાડી લગભગ 500થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓ પકડાયાનો દાવો કરાયો છે જેમાં મહિલા અને પુરુષો બંને સામેલ છે. આ લોકોના દસ્તાવેજોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
આતંકી હમલા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને આદેશ આપવામાં આવ્યો હતો કે 48 કલાકમાં તમામ પાકિસ્તાનીઓને વતન ભેગા કરવામાં આવે. જેના પર કાર્યવાહી કરતી વખતે જ પોલીસના હાથે આ બાંગ્લાદેશીઓ ચઢી ગયાનો દાવો કરાયો છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિદેશી ઘૂસણખોરો સામે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચની સાથે સાથે આ તપાસમાં એસઓસી, ઈઓડબ્લ્યૂ અને ઝોન 6 હેડક્વાર્ટરની ટીમોએ કોમ્બિંગ હાથ ધર્યું હતું જેમાં 400 થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા. જ્યારે સુરતમાંથી 100થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે.
હાલમાં ઝડપાયેલા લોકોના દસ્તાવેજોની ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર સુરતના સચિન, ઉન, લાલગેટ અને લિંબાયત સહિતના અમુક વિસ્તારોમાં આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. ગેરકાયદે રીતે બોર્ડર ક્રોસ કરીને ઘૂસણખોરી કરી હતી અને સુરતમાં અલગ-અલગ વિસ્તારમાં તે લોકો રહેતા હોવાની વાત સામે આવી છે
પોલીસે પ્રાથમિક તપાસમાં એવો દાવો કર્યો હતો કે આ લોકો પાસે ભારત સરકાર દ્વારા માન્ય આધારકાર્ડ પણ મળી આવ્યા છે. જ્યારે અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાંથી 400થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી જેમના શંકાસ્પદ બાંગ્લાદેશી હોવાની જાણકારી મળી રહી છે.
ભારતની બોર્ડરમાં આ બાંગ્લાદેશીઓ રૂપિયા આપીને ઘૂસણખોરી કરતા હોય છે ત્યારે 15 હજારથી 20 હજાર આપે છે.