મહારાષ્ટ્રમાં 5 ડિસેમ્બરે શપથ વિધી?, ભાજપના કદાવર નેતાનો દાવો

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યાને સાત દિવસ થઈ ગયા છે. મહાયુતિ ગઠબંધનને ચૂંટણીમાં જંગી જીત મળી છે. પરંતુ નવી સરકારની રચનાની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી. પહેલા એવા સમાચાર હતા કે 26 નવેમ્બર સુધીમાં નવી સરકાર બનશે. હવે ભાજપના એક નેતાએ દાવો કર્યો છે કે મહારાષ્ટ્રમાં 5 ડિસેમ્બરે નવી સરકાર બનશે. આ નેતાએ એમ પણ કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસ આગામી મુખ્યમંત્રી બનવાના રેસમાં સૌથી આગળ છે.

ભાજપ 132 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના મહાગઠબંધનએ 288માંથી 230 બેઠકો જીતીને સત્તા જાળવી રાખી હતી. ભાજપ 132 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. જ્યારે શિવસેનાને 57 અને એનસીપીને 41 બેઠકો મળી છે. જો કે 23 નવેમ્બરે ચૂંટણીના પરિણામોની જાહેરાત થયા બાદ પણ મુખ્યમંત્રી કોણ હશે તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.

રવિવારે શપથ ગ્રહણ યોજાઈ તેવી શક્યતા

શિંદે, ફડણવીસ અને પવારે ગુરુવારે મોડી રાત્રે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથે મહારાષ્ટ્રમાં આગામી સરકારની રચના અંગેની સમજૂતી કરી હતી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સતારા જિલ્લામાં તેમના વતન ગામ ગયા પછી બેઠક મુલતવી રાખવામાં આવી હતી. જે હવે રવિવારે યોજાય તેવી શક્યતા છે.

ફડણવીસ મુખ્યમંત્રી પદ માટે સૌથી આગળ

ભાજપના નેતાએ નામ ન આપવાની શરતે કહ્યું કે નવી સરકારના શપથ ગ્રહણ 5 ડિસેમ્બરે થશે. નેતાએ કહ્યું કે પાર્ટીના વરિષ્ઠ નેતા ફડણવીસ મુખ્યમંત્રી પદ માટે સૌથી આગળ છે. જો કે, ભાજપ વિધાનમંડળ પાર્ટી તેના નવા નેતાની પસંદગી માટે ક્યારે બેઠક કરશે તે અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. શિંદેએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આગામી મુખ્યમંત્રીને લઈને ભાજપના નેતૃત્વના નિર્ણયને સંપૂર્ણ સમર્થન આપશે. અજિત પવારે ફડણવીસને મુખ્ય પ્રધાન પદ માટે સમર્થન આપ્યું છે.

Scroll to Top