આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસે ગાંધીનગરમાં રાજ્ય સરકારના લાંચરુશ્વત વિરોધી બ્યુરો દ્વારા કાર્યક્રમ આપોજિત કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું ભ્રષ્ટાચારમાં બે શબ્દો છે ભ્રષ્ટ અને આચાર જ્યારે કોઈ વ્યક્તિ પોતાના હક્કની બહારનું અને જરૂરિયાત કરતા વધારાનું મેળવવાના શોર્ટકટ શોધે ત્યારે નૈતિકતા ગુમાવે છે અને ભ્રષ્ટાચારને પોષે છે.
આપણે આ જે વાતાવરણ બન્યું છે તેને તોડવું પડશે અને મજબૂતીથી મક્કમ નિર્ધારથી ભ્રષ્ટાચાર સામેની લડાઈ તેજ બનાવવી પડશે. આ ક્રાર્યક્રમમાં ACBને સહાયક બનેલા 10 સામાન્ય નાગરિકોનું મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સન્માન કર્યું હતું.
આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્મનો મર્મ સચોટતાથી સમજાવતા કહ્યું કે, આપણાં ધર્મ, સંસ્કૃતિ, સંપ્રદાય બધામાં નકારાત્મકતાથી બહાર આવી પોઝિટિવિટીથી જીવન જીવવાની વાત કહી છે. નિજાનંદમાં અને સુખમાં રહેવું હોય તો નૈતિકતા પૂર્ણ આચરણ વ્યવહારને એવી રીતે અપનાવીએ કે રાત્રે નિરાંતની નિંદ્રા લઈ શકાય. એન્ટીકરપ્શન બ્યુરોના રાજ્યભરના અધિકારીઓ – કર્મચારીઓને પ્રેરણા આપતા ઉમેર્યું કે ટીમવર્કથી અને ક્યાંય કોઈ ખચકાટ વિના કરપ્શન સામેની લડાઈ લડવામાં પાછા ના પડશો. રાજ્ય સરકાર તમારી પડખે ઉભી રહેશે.
હર્ષ સંઘવીએ એન્ટી કરપ્શન બ્યુરોની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના સામાન્ય નાગરિકોને પોતાનો હક્ક અને ન્યાય અપાવવા લાંચ રૂશ્વત વિરુદ્ધ લડાઈ લડી રહેલી એન્ટી કરપ્શન બ્યુરોની સમગ્ર ટીમને અભિનંદન પાઠવતા કહ્યું કે લાંચ રૂશ્વત એટલે માત્ર એક શબ્દ નહીં. પરંતુ તે આપણાં સમાજમાં વિકાસના માર્ગ આડે રહેલો એક મોટો અવરોધ છે. જે ન્યાય, સમાનતા અને પારદર્શકતાના મૂલ્યોની સાથે-સાથે નાગરિક હિતોને પણ નુકસાન પહોંચાડે છે. એસીબી સુધી ફરિયાદ કરવા પહોંચેલો પ્રત્યેક નાગરિક અનેક પીડાઓ સહન કર્યા બાદ ચોક્કસ વિશ્વાસ સાથે એસીબી સુધી પહોંચતો હોય છે. ત્યારે તેના વિશ્વાસ અને મનોબળને વધુ મજબૂત બનાવવા કોઈ પણ ભેદભાવ વિના કાર્યવાહી કરવી અત્યંત જરૂરી છે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ગૃહરાજ્યમંત્રી સાથે અનેક લોકો હાજર રહ્યા હતા
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી,મુખ્ય સચિવ રાજકુમાર, ગૃહ વિભાગના અને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, વિઝલન્સ કમિશનર સંગીતા સિંઘ, એન.એફ.એસ.યુના વાઇસ ચાન્સેલર ડૉ.જે.એમ.વ્યાસ તેમજ ગુજરાત રાજ્ય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો સાથે જોડાયેલા અધિકારી-કર્મચારીઓ, વિધાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.