Mansukh Vasava: ત્રણ દિવસ પહેલા રાજપારડીમાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કે જે હવે 10મા ધોરણમાં આવશે તેને શાળાના શિક્ષકે વેકેશનમાં ટ્યુશનમાં બોલાવીને વારંવાર છેડતી કરી હતી. એટલું જ નહીં, એ વિદ્યાર્થિની સાથે અનેક રીતે બિભત્સ અડપલા કરતો જે વર્ણી શકાય તેમ નથી. આ બાબતની ફરિયાદ વિદ્યાર્થિનીએ તેની માતાને કરી હતી. દીકરીના પિતા જે તે શિક્ષકના ઘરે આ બાબતની રજૂઆત કરવા ગયા હતા. શિક્ષકના ઘરે જતા તેણે અને એના મળતિયાઓએ દીકરીના પિતાને ઢોર માર માર્યો હતો. બીજી વાત પણ સામે આવી છે કે આ શિક્ષકે ભૂતકાળમાં 10 થી 12 વિદ્યાર્થિનીઓ સાથે આવું કૃત્ય કર્યું હતું. આ ઘટનાની ફરિયાદ રાજપારડી પોલીસ સ્ટેશનમાં થતા શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ આ ગુનામાં પડદો પાડવા માટે કોઈના કોઈ કારણોસર વિલંબ કરવામાં આવી રહ્યો હતો. ત્યારબાદ આ વાત ભરૂચના સાંસદ મનસુખ વસાવા સુધી પહોંચી હતી.
આ ઘટનાની જાણ મનસુખ વસાવાને થતા તેમણે આ ઘટનામાં કડકાઈથી પગલા લેવામાં આવે તેવી રજૂઆત ભરૂચ જિલ્લા SP ની સમક્ષ કરી હતી. પરંતુ જિલ્લા SP પણ રાજપારડીના PI નું ઉપરાણું લેતા હોય એમ મનસુખ વસાવાને લાગ્યું હતું. આ ઘટના બાદ મનસુખ વસાવાએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર આ ઘટના અંગે એક વીડિયો પણ ઉપલોડ કર્યો હતો.
તેમણે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું કે ભૂતકાળમાં પણ એક હિન્દુ છોકરીને મુસ્લિમ છોકરો મુંબઈ ભગાડી ગઈ ગયો હતો. જે બાબતની ફરિયાદ છોકરીના પિતાએ કરી હતી. પણ રાજપારડી પોલીસ સ્ટેશનના PI એ ભીનું સંકેલી લીધું હતું. આ ઉપરાંત 10-15 દિવસ પહેલા સારસા ગ્રામ પંચાયતના તલાટી પર કેટલાંક અસામાજિક તત્વોએ ખંજર વડે જીવલેણ હુમલો કર્યો હતો. આવા ગંભીર પ્રકારના ગુના સામે પણ PI એ સામાન્ય FIR કરી હતી. જેના કારણે ગુનેગારો જામીન પર બે દિવસમાં છૂટી ગયા હતા.
Mansukh Vasava નું કહેવું છે કે Rajpardi Police Station ના PI હંમેશા આવી ઘટનાઓમાં ગુનેગારોની તરફદારી કરે છે. આ ઘટનામાં પણ ભૂતકાળની ઘટનાઓની જેમ ભીનું સંકેલી ના લેવાય એ માટે ભરૂચ DCP સાહેબને મેં ટેલિફોનિક માધ્યમથી ધ્યાન દોર્યું છે. હું આશા રાખું છું કે શિક્ષણ જગત સાથે જોડાયેલા ગુરુ સમાન શિક્ષકો દ્વારા દીકરી સમાન વિદ્યાર્થીનીઓ સાથે ભવિષ્યમાં આવા ગંભીર પ્રકારના કૃત્ય કરવામાં ન આવે. અને તે માટે આવા શિક્ષકોની સામે કડક કાર્યવાહી થાય એવી હું જીલ્લા પોલીસ વડા પાસે આશા રાખું છું.