Congress: ભાવનગર શહેરમાં વર્ષોથી રહેતા સેંકડો ગરીબ અને મધ્યમ વર્ગના સામાન્ય લોકોના મકાનો તોડી પાડવાની ભારતીય જનતા પાર્ટી (BJP) ની મહાનગરપાલિકા તેમજ સરકાર દ્વારા જે નિર્ણય કર્યો છે તે સંપૂર્ણ અન્યાયકર્તા છે. વર્ષોથી જે લોકો ભાવનગરમાં વસવાટ કરે છે તેવા લોકોને સુપ્રીમ કોર્ટના વારંવારના અવલોકનો મુજબ વૈકલ્પિક વ્યવસ્થા કે કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન કર્યા વગર તોડી પાડવા તે અમાનવીય અને હાડમારી ઉભી કરે છે.
ભાજપ સરકારે મકાન તોડ્યા
આ રેલીમાં આમ જનતાની સાથે પદયાત્રા કરીને કમિશ્નરને આવેદનપત્ર આપવા આવ્યું હતું. બિનજરૂરી મકાન ના તોડવા અને અતિ આવશ્યક હોય તો વૈકલ્પિક વ્યવસ્થા આપવી અને કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન કરીને પછી મકાન હટાવવા માંગણી કરવામાં આવી હતી. જો અન્યાય થશે તો ઉગ્ર આંદોલન થશે તેમ પણ જાહેર કરવામાં આવ્યું હતું. આ રેલીમાં જીજ્ઞેશભાઈ મેવાણી (Jignesh Mevani) એ કહ્યું હતું કે,તમારી કાળી મજૂરીથી આ ભાવનગર બન્યું છે. આજે આ સરકાર તમારા મકાન તોડી રહ્યા છે.એક તરફ કોંગ્રેસ જે તમારે માટે લડે છે. જ્યારે ભાજપ (BJP) વાળા તમારૂ મકાન તોડી રહ્યા છે. આ ભાજપ સરકારે 30 વર્ષમાં માત્ર લોકોને હેરાન કરવાનું કામ કર્યું છે.10 વર્ષથી કેન્દ્રમાં અને 30 વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકારે માત્ર લોકોને હેરાન કર્યા છે. મકાન આપ્યા નથી. માત્ર લોકોના મકાન તોડ્યા છે.
વિશાળ રેલી ભાવનગરમાં નીકળી હતી
અસરગ્રસ્ત લોકોને ન્યાય મળે તે માટે અને તેમની વ્યથા ઉજાગર થાય તે માટે ભાવનગર કોંગ્રેસ (Congress) સમિતિ તથા અસરગ્રસ્તોની બનેલી સંકલન સમિતિના સંયુક્ત ઉપક્રમે શુક્રવારના રોજ વિશાળ રેલી ભાવનગરમાં નીકળી હતી.મ્યુનિસિપલ કમિશ્નરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ રેલીમાં પ્રદેશ કોંગ્રેસ (Congress) સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ જીજ્ઞેશભાઈ મેવાણી (Jignesh Mevani) એસ.સી. વિભાગના પ્રમુખ હિતેન્દ્ર પીઠડીયા, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારૈયા, દિલીપસિંહ ગોહિલ તથા ભાવનગર શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.