Pahalgam Terror Attack | જમ્મુ-કાશ્મીરના પહેલગામ (Pahalgam)માં મંગળવારે બપોરે 2.45 મિનિટે આતંકવાદીઓએ હુમલો કર્યો, જેમાં 28 લોકો માર્યા ગયા છે. આતંકીઓએ લોકોને તેમનો ધર્મ પૂછીને નિશાન બનાવ્યા હતા. આ ઘટનામાં 17 લોકો ઘાયલ થયા છે. 2019 માં પુલવામા હુમલા (પછી કાશ્મીર ઘાટીમાં આ સૌથી મોટો હુમલો છે, જેણે ફરી એકવાર સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. પહલગામ આતંકવાદી હુમલા બાદ 2-3 આતંકવાદીઓએ બારામુલ્લા (Baramulla)માં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો. ભારતીય સેનાએ આતંકવાદીઓના આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.
બારામુલ્લા (Baramulla)માં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભારે ગોળીબાર થયો અને બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા. આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો, દારૂગોળો અને અન્ય ઘાતક વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. સેનાનું ઓપરેશન ચાલુ છે. સુરક્ષા દળો દ્વારા વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. હુમલા બાદ આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
NIAની ટીમો શ્રીનગર પહોંચી ગઈ છે. ફોરેન્સિક ટીમો પણ ઘટનાસ્થળે હાજર છે. સેના, CRPF, SOG, જમ્મુ પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. હેલિકોપ્ટર અને ડ્રોનનો ઉપયોગ કરીને આતંકવાદીઓની શોધ કરવામાં આવી રહી છે. મુઘલ રોડ પર CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસ તૈનાત કરવામાં આવી છે.
પહલગામ હુમલામાં સંડોવાયેલા આતંકવાદીની તસવીર પણ સામે આવી છે. જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)ના ઇતિહાસમાં પ્રવાસીઓને નિશાન બનાવતો આ પહેલો હુમલો છે, જ્યાં નિઃશસ્ત્ર પ્રવાસીઓને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.
આતંકવાદીઓ દ્વારા જે જગ્યાએ પ્રવાસીની હત્યા કરવામાં આવી હતી તે પહલગામથી માત્ર 4 કિલોમીટર દૂર છે. કુદરતી સૌંદર્યને કારણે, ત્યાં સામાન્ય રીતે પ્રવાસીઓની ભીડ જોવા મળે છે, જે સમયે આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો, તે સમયે મોટાભાગના પ્રવાસીઓ ઘોડેસવારી કરી રહ્યા હતા.
પહેલગામથી અમરનાથનું અંતર ફક્ત 32 કિલોમીટર છે. અમરનાથ યાત્રાના સંદર્ભમાં આ શહેરનું ખૂબ મહત્વ છે. યાત્રાની મોસમ દરમિયાન, પહેલગામ ધાર્મિક ઉત્સાહનું જીવંત કેન્દ્ર બની જાય છે, જે યાત્રાળુઓ અને પ્રવાસીઓ બંનેને આકર્ષે છે, જે તેને ભક્તો અને તેમના માર્ગ વચ્ચે એક મહત્વપૂર્ણ કડી બનાવે છે. અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે. આતંકવાદીઓ ફરીથી કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને અંજામ ન આપે તે માટે સુરક્ષા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આતંકી હુમલા બાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમનો સાઉદી અરેબિયા પ્રવાસ અધવચ્ચે જ છોડીને આજે સવારે સ્વદેશ પરત ફર્યા. દિલ્હી એરપોર્ટ પર જ NSA અજિત ડોભાલ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને વિદેશ સચિવે પીએમ મોદીને પહેલગામ હુમલા અંગે માહિતી આપી. મંગળવારે પીએમ મોદીએ સાઉદી અરેબિયાથી જ કાશ્મીરની પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું.
લશ્કરનો સૈફુલ્લાહ માસ્ટરમાઇન્ડ
પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ સૈફુલ્લાહ ખાલિદ હોવાનું ઇન્ટેલિજન્સે જણાવ્યું હતું. તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)થી કાર્યરત છે. તેનું સ્થાન રાવલકોટ હોવાનું કહેવાય છે. સૈફુલ્લાહએ એક મહિના પહેલા પણ હુમલાની ચેતવણી આપી હતી. આનો 2019નો એક વીડિયો પણ વાઇરલ થયો હતો. આ વીડિયોમાં સૈફુલ્લાહએ કહ્યું હતું કે કાશ્મીર મુદ્દાને ઠંડો પડવા દેવો જોઈએ નહીં.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી
પહેલગામમાં આતંકવાદી હુમલામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહેલગામ પહોંચ્યા છે. અહીં તેમણે મૃતકોના મૃતદેહોને શ્રદ્ધાંજલિ આપી હતી. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ શાહ સાથે ફોન પર વાત કરી છે. અમેરિકા, ઈરાન, રશિયા, ઇટાલી, યુએઈ અને અન્ય દેશોએ પહેલગામ હુમલાની નિંદા કરી છે.
TRF એ આ હુમલાની જવાબદારી સ્વીકારી
લશ્કર-એ-તૈયબાની વિંગ ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ (TRF) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. ગોળીબાર બાદ આતંકવાદીઓ ભાગી ગયા હતા. ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું કે પહેલગામ હુમલામાં બે વિદેશી આતંકવાદીઓ અને બે સ્થાનિક આતંકવાદીઓ સામેલ હતા.
આતંકીઓએ ગોળી મારતા પહેલા નામ પૂછ્યા
પ્રવાસીઓને ગોળી મારતા પહેલા આતંકવાદીઓએ તેમના નામ પૂછ્યા અને તેમને કલમાનો વાંચવા કહ્યું. તેમાંથી એક યુપીનો શુભમ દ્વિવેદી હતો, જેને આતંકવાદીઓએ તેનું નામ પૂછ્યા બાદ માથામાં ગોળી મારી દીધી હતી. મૃતકોમાં યુપી, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને ઓડિશાના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. નેપાળ અને યુએઈના એક-એક પ્રવાસી અને બે સ્થાનિક લોકો પણ માર્યા ગયા.