Gujrat Police: ગુજરાતની સંવેદનશીલ પોલીસ અસામાજીક તત્વો માટે બની ખતરો

Gujrat Police:  ગુજરાત પોલીસ રાજ્યના નાગરિકોની સુરક્ષા અને કલ્યાણ માટે કટિબદ્ધ રીતે કામ કરી રહી છે. રાજ્યમાં બાળકો અને વયસ્ક નાગરિકોની સંવેદનશીલ જરૂરિયાતોને અનુરૂપ “સાંત્વના કેન્દ્ર”, “શી ટીમ”, “ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી” અને “તેરા તુજકો અર્પણ” જેવા વિવિધ કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ દ્વારા ગુજરાત પોલીસ (Gujrat Police) સહાનુભૂતિપૂર્વક સહાય આપે છે.આ સાથે સાથે પોલીસ અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવવા કડક પગલા પણ લઇ રહી છે.વર્ષ 2022 થી 2024 દરમિયાન ત્રણ વર્ષમાં પાસા હેઠળ અટક થયેલા 1157 આરોપીઓને ભેગા કરી કાયદાના પાઠ ભણાવવામાં આવ્યા છે.આ પહેલનો હેતુ એવા ગુનેગારો પર નજર રાખવાનો છે જેઓ અગાઉ અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા.

રીઢા આરોપીઓને કાયદાના પાઠ ભણાવ્યા

ગુજરાત પોલીસ (Gujrat Police) ની આ પહેલ ગુનાખોરીને નિયંત્રણમાં રાખવા અને સમાજમાં શાંતિ અને સુરક્ષા જાળવવાના પ્રયાસમાં મહત્વની બની રહેશે. આ ચારેય શહેરોમાં 1157 પાસા આરોપીઓ પૈકી રાજકોટ શહેરના 73, અમદાવાદ શહેરના 389, સુરત શહેરના 532 અને વડોદરા શહેરના 163 આરોપીઓને પોલીસે ગુનાખોરીના રસ્તે પુન:ન વળવા ગુનેગારો જે ભાષામાં સમજે છે તે કાયદાની ભાષામાં સ્પષ્ટ જરૂરી સમજ આપી હતી.

શું છે પાસા કાયદો
પાસા(પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ), અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટેનો કાયદો છે. વારંવાર ગંભીર ગુના આચરનારા વ્યક્તિઓ સામે આ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. ખાસ કરીને બુટલેગરો, ખતરનાક ગુનેગારો, જમીન પચાવી પાડનારાઓ, અનૈતિક વેપારમાં સંડોવાયેલા લોકો, ડ્રગ્સના ગુનેગારો, જુગારધામ ચલાવનારાઓ, સંગ્રહખોરી અને કાળાબજાર કરનારાઓ, સાયબર ક્રાઈમ કરનારાઓ અને વ્યાજખોરો સામે આ કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

 

Scroll to Top