Gujarat News: 8 માર્ચ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે.આ દિવસની શુભેચ્છાઓ પાઠવતાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, સ્ત્રી એટલે જિંદગીના રંગમંચ પર રિહર્સલ વગર દરેક ભૂમિકા સફળતાપૂર્વક નિભાવતુ ઈશ્વરનું અદભુત સર્જન. આ દિવસ સ્ત્રીશકિત, તેમના સંઘર્ષ અને પ્રેરણાને સન્માન આપવાનો છે. મહિલાઓ સમાજનો મજબુત સ્તંભ છે. જે માત્ર પરિવારનું જ નહિં, સમગ્ર વિશ્વનું સંચાલન કરે છે. આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાની ક્ષમતા સાબિત કરી રહી છે-કલા, રમતગમત,વ્યવસાય, વિજ્ઞાન કે ટેકનોલોજી, દરેક જગ્યા પર મહિલાઓએ પોતાના શ્રેષ્ઠ પ્રયાસથી સફળતા હાંસલ કરી છે.
8 માર્ચ આંતરાષ્ટ્રીય મહિલા દિવસ
મહિલાઓના સશકિતકરણને વેગ આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનો રાજ્યની મહિલાઓ વતી આભાર વ્યકત કરતા મંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા અનેકવિધ મહિલાલક્ષી પહેલોના સુદ્રઢ અમલીકરણ થકી આજની નારી સશકત બની છે. દિકરીના જન્મથી લઈ વૃધ્ધાવસ્થા સુધી સરકાર તેમની પડખે ઉભી છે. મહિલા સશકિતકરણને પ્રેરણા આપતી વિવિધ યોજનાઓ જેમકે, વ્હાલી દિકરી યોજના, કન્યા કેળવણી અભિયાન, શિષ્યવૃત્તિ સહાય, બેટી બચાવો અભિયાન, પોષણ અભિયાન, ગંગાસ્વરૂપા યોજના જેવી અનેક યોજનાઓ મહિલાઓના ઉત્થાનમાં યોગદાન આપી રહેલ છે.
મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાની ક્ષમતા સાબિત કરી
મહિલાઓનાં અધિકારોની બાબતમાં કે મહિલાઓને પુરુષ સમોવડી બનાવવાની બાબતમાં ભારત હરહંમેશ આગળ રહ્યો છે. દેશને આઝાદી મળતાંની સાથે જ મહિલાઓને પુરૂષોનાં જેટલા જ સમાન અધિકાર અપાયા છે. ભારતે આઝાદ થતાંની સાથે જ મહિલાઓને મતાધિકાર આપી સમાન દરજ્જો આપવાની દિશામાં શરૂઆત કરી હતી.હિન્દુ મેરેજ એક્ટ, નોકરીમાં મહિલાઓને આરક્ષણ, સશસ્ત્ર દળોમાં મહિલાઓનું સ્થાન, સંપત્તિમાં મહિલાઓનો અધિકાર, છ મહિનાની માતૃત્વ રજાઓ, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આપવામાં આવતી સહાયમાં મહિલાઓને નામે ઘરની નોંધણી અને છેલ્લે વિશેષ કહી શકાય તેવો અધિકાર એટલે કે, નારી વંદન બિલ. આ બીલ થકી રાજકારણમાં 33% ભાગીદારી સાથે મહિલાઓને પ્રાધાન્ય મળ્યું છે. આવા અનેક કાયદા અને નિયમનો દ્વારા મહિલાઓનો સર્વાંગી વિકાસ કરવામાં મદદ કરી છે.