Gujarat News: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે અંત્યોદય પરિવારની આજીવિકામાં વધારો કરીને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવા તેમજ મહિલા સશક્તિકરણના ઉદ્દેશથી જી-સફલ (ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમિલીઝ ફોર ઓગ્મેન્ટિંગ લાઇવલીહુડ્સ -અંત્યોદય પરિવારોની આજીવિકા વધારવા માટે ગુજરાતની યોજના) આ વર્ષે જાહેર કરી છે જે આગામી પાંચ વર્ષના સમયગાળામાં રાજ્યના 10 જિલ્લા અંતર્ગત 25 તાલુકાના 50 હજાર અંત્યોદય અન્ન યોજના (એએવાય) કાર્ડ ધારક પરિવારોને લાભ પહોંચાડશે.
80 હજારનું અનુદાન આપવામાં આવશે.
આ યોજનાનું અમલીકરણ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ (ગ્રામ વિકાસ વિભાગ) દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં અંત્યોદય પરિવારોને આજીવિકા, નાણાકીય સમાવેશ અને સામાજિક વિકાસ માટે સહયોગ પૂરો પાડવામાં આવશે. આ કાર્યક્રમમાં આર્થિક સહાયની સાથે કૌશલ્ય તાલીમ અને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવશે જેથી પરિવારોને અત્યંત ગરીબીમાંથી બહાર લાવી શકાય.અંત્યોદય પરિવારને ટકાઉ આજીવિકા મળે તે માટે યોગ્ય તાલીમ અને માર્ગદર્શન પણ આપવામાં આવશે. આજીવિકાના નવા સ્ત્રોત બનાવવા માટે તેમને ₹ 80 હજારનું અનુદાન આપવામાં આવશે.
કઈ રીતે લાગુ થશે યોજના ?
આ યોજનાના અમલીકરણ માટે પાત્રતા ધરાવતા કાર્ડધારકોમાં સૌથી ગરીબ પરિવારોની ઓળખ કરવામાં આવશે. મોટાભાગે આ પ્રકારના પરિવારોમાં કોઈ ચોક્કસ આવકનો સ્ત્રોત ન હોવાથી તેમના માટે વધારાની આવક ઊભી કરવા માટે નવા સ્ત્રોતનું નિર્માણ કરવામાં આવશે જેથી તેમની આવક ટકાઉ બને. તેના માટે તેમને અનુદાન આપવામાં આવશે તેમજ નવી આવકને ટકાવી રાખવા માટે યોગ્ય તાલીમ અને માર્ગદર્શન પણ આપવામાં આવશે. તમામ લાભાર્થી પરિવારોમાં ઓછામાં ઓછા આવકના બે સ્ત્રોત હોય તે સુનિશ્વિત કરવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. આવકના સ્ત્રોતનું નિર્માણ બજારમાં રહેલી તકો, પ્રવર્તમાન કૌશલ્ય અને લાભાર્થી પરિવારને લાગુ પડતી અન્ય બાબતો પર નિર્ભર રહેશે. લાભાર્થીઓને યોગ્ય તાલીમની સાથે બેંકો અને નાણાકીય સંસ્થાઓ સાથે જોડવાની કામગીરી પણ કરવામાં આવશે. આ પરિવારોને માર્ગદર્શન આપવા માટે ફિલ્ડ કૉચની નિમણૂક કરવામાં આવી છે.
મહિલા સશક્તિકરણ અને સમુદાયોને મજબૂત બનાવવાનો નિર્ધાર
જી-સફલનું એક અનોખું પાસું મહિલા સશક્તિકરણનું છે, જેમાં 1 ફિલ્ડ કૉચ 40 પરિવારો સુધી પહોંચીને વ્યક્તિગત રીતે તાલીમ પ્રદાન કરશે. આ યોજનામાં ટેક્નોલોજી પર પણ ભાર મૂકવામાં આવ્યો છે જેમાં રાજ્ય સ્તરના ડિજીટલ ડેશબોર્ડની મદદથી યોજનાની પ્રગતિ, ફંડની ચૂકવણી અને પરિવારોના વિકાસના માપદંડોનું રિયલ ટાઇમ ટ્રેકિંગ કરવામાં આવશે.
જિલ્લા અને તાલુકાની યાદી
રાજ્યના જે જિલ્લા અને તાલુકામાં આ યોજના લાગુ કરવામાં આવી છે તે આ પ્રમાણે છે: બનાસકાંઠા (તાલુકો-થરાદ), પાટણ (સાંતલપુર), કચ્છ (રાપર, લખપત), સુરેન્દ્રનગર (સાયલા), છોટાઉદેપુર (કવાંટ, નસવાડી), પંચમહાલ (ઘોઘંબા), દાહોદ (ગરબાડા, ધાનપુર, સિંઘવડ, દેવગઢબારીયા, ફતેપુરા, ઝાલોદ, દાહોદ, લીમખેડા, સંજેલી), નર્મદા (નાંદોદ, ગરુડેશ્વર, સાગબારા, તિલકવાડા, ડેડીયાપાડા) તાપી (કુકરમુંડા ,નિઝર) અને ડાંગ (સુબીર).