Gujarat News:રાજ્યમાં દર વર્ષે નોંધાતા ટીબીના અંદાજીત 1 લાખ 40 હજાર કેસોમાંથી 90 ટકાથી વધું દર્દીઓને સંપૂર્ણપણે સાજા કરવામાં સફળતા મળી છે.રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ (Rishikesh Patel) ના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર ખાતે 100 દિવસ ટીબી નિર્મૂલન ઝૂંબેશના ભાગરૂપે એક કાર્યક્રમ યોજાયો. જેમાં ટીબીના સાજા થયેલ દર્દીઓ, ટી.બી. સંક્રમિત દર્દીઓ અને ટીબી ચેમ્પિયન્સ માટે સેમિનારનું આયોજન થયું હતું.
રૂ.246 કરોડથી વધુની આર્થિક સહાય
આ કર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે (Rishikesh Patel) જણાવ્યું હતું કે, ભારતને વર્ષ-2025 સુધીમાં ટીબી મુક્ત બનાવવાનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પપૂર્તિની દિશામાં ગુજરાતનું આરોગ્ય વિભાગ સુંદર કામગીરી કરી રહ્યું છે, જેના પરિણામે આજે અનેક દર્દીઓએ ટીબીને હરાવ્યો છે.ભૂતકાળમાં ટીબી રોગને રાજરોગ ગણવામાં આવતો હતો તેનું નિદાન અને સારવાર પણ ખુબ મુશ્કેલ હતી. પરંતુ રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન જેવા કાર્યક્રમના પરિણામે ટીબીને હરાવવો શક્ય બન્યો છે. રાજયના તમામ સરકારી આરોગ્ય કેન્દ્રો ખાતે ટીબીનું નિદાન અને સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ છે. ટી.બી. એ રાજરોગ કે મહારોગ નહીં પરંતુ મટી શકે તેવો રોગ છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.
દર્દીઓને રૂ.1000 પ્રતિ માસની આર્થિક સહાય
100 દિવસ સઘન ટીબી નિર્મૂલન ઝૂંબેશના ભાગરૂપે ટીબીના દર્દીઓ, ટીબી ચેમ્પિયન અને સાજા થયેલ ટીબીના દર્દીઓને અભિનંદન પાઠવતા મંત્રીએ જણાવ્યું હતું કે, જેવી રીતે આ દર્દીઓએ ટીબીને હરાવ્યો છે તેવી જ રીતે ટીબીનો કોઈ પણ દર્દી છ મહિનાની સંપૂર્ણ સારવાર લઈને ટીબીને મ્હાત આપી શકે છે. સરકારનાં પ્રયત્નો અને નાગરીકોના સહયોગના પરિણામે ટીબીને હરાવવો શક્ય બન્યો છે.ટીબીના દર્દીઓને સારવાર ઉપરાંત પોષણયુકત આહાર મળી રહે તે હેતુથી નિક્ષય પોષણ યોજના અંતર્ગત ટીબીના તમામ દર્દીઓને રૂ.1000 પ્રતિ માસની આર્થિક સહાય સારવાર ચાલુ રહે ત્યા સુધી અપાય છે. અત્યારસુધી આ યોજના અંતર્ગત ગુજરાતમાં ટીબીના 7 લાખ 68 હજારથી પણ વધુ દર્દીઓને રૂ.246 કરોડથી વધુની આર્થિક સહાય ડીબીટી માધ્યમથી અપાઈ છે. દર વર્ષે આવતા ટીબીના 1 લાખ 40 હજાર કેસોમાંથી 90 ટકા દર્દીઓને સાજા કરી શકાયા છે.100 દિવસની ખાસ ટીબી નિર્મૂલન ઝૂંબેશ દરમિયાન ટીબી રોગના સંભવિત દર્દીઓને શોધીને વિવિધ તપાસ કરીને તેમની સારવાર કરવામાં આવે છે.