Surat : હીરા ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી ભારે મંદી ચાલી રહી છે. રત્નકલાકારોને યોગ્ય કામ અને પગાર ન મળતા ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. તો અનેક રત્નકલાકારોએ આર્થિક ભિસથી કંટાળી આપઘાત કર્યાના બનાવો પણ સામે આવ્યાં છે. ત્યારે રાત્નકલાકારો અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સરકાર પાસે રાહતની માગ સાથે પોતાની વિવિધ માગણીઓને લઈને અનેક રજૂઆતો કરી હતી. તેમ છતાં તેઓની માગ સ્વીકારવામાં ન આવતા આજે સુરત (Surat) માં રત્નકલાકારોએ હડતાલ પાડી છે. હડતાલ સાથે કતારગામથી કાપોદ્રા હીરાબાગ સુધીની ‘રત્નકલાકાર એકતા રેલી’ કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં રત્નકલાકારો જોડાયા છે.
ડાયમંડ વર્કર યુનિયનની રત્નકલાકારો માટેની માંગો
ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ હોવાને કારણે રત્નકલાકાર યુનિયન દ્વારા વારંવાર પગાર વધારાની રજૂઆત કરવામાં આવી રહી હતી. ડાયમંડ વર્કરોની સ્થિતિ ખૂબ જ ખરાબ બની રહી છે. એક તરફ વર્ષોથી જે ફેક્ટરીના સંચાલકો છે, તેમણે ખૂબ કમાણી કરી છે. તેની સામે રત્નકલાકારોના ભાગે કશું જ આવ્યું નથી, આ પ્રકારની વ્યથા અત્યારે રત્નકલાકારો વર્ણવી રહ્યા છે. આજે જ્યારે મંદીના માહોલ છે, ત્યારે ફેક્ટરીના સંચાલકો રત્નકલાકારોને પૂરતો પગાર પણ આપી રહ્યા નથી. અડધો પગાર કરી દેવામાં આવ્યો છે તો ક્યાંક કામના કલાકો ઘટાડી દેવામાં આવ્યા છે, જેના કારણે રત્નકલાકારોની આર્થિક સ્થિતિ ખૂબ જ થઈ ખરાબ થઈ રહી છે.
રત્નકલાકારોનું રાજ્ય સરકારને મોટું અલ્ટીમેટમ
બે સપ્તાહ પહેલાં ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશને સીએમ ભૂપેન્દ્ર પટેલ (Bhupendra patel) ને રજૂઆત કરી રત્નકલાકારોના પગાર વધારા, હીરાના ભાવમાં વધારો કરવા અને રત્નકલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવા રજૂઆત કરી હતી. ઉદ્યોગના રત્નકલાકારોના બાળકોને ફી ભરવા, મકાનના હપ્તા ભરવા, મકાનના ભાડા ભરવા, આર્થિક પેકેજની માગણી કરી હતી. આ ઉપરાંત બેરોજગાર રત્ન કલાકારો માટે રત્નદીપ યોજના જાહેર કરવા સહિતના મુદ્દે કમિટી બને એવી માંગણી કરી હતી. છતાં સરકારે કોઈ ઠોસ પગલાં લીધાં નથી.