ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ લોકોને છેતરપિંડીભર્યા કોલ અને મેસેજથી સાવધાન રહેવાની સલાહ આપી છે. તાજેતરના સમયમાં ટ્રાઈના નામે નકલી કોલ અને મેસેજ મોકલવાની ઘટનાઓ સામે આવી છે. આ કોલ અને મેસેજમાં ગ્રાહકોને કહેવામાં આવી રહ્યું છે કે તેમના મોબાઈલ નંબર બ્લોક કરી શકાય છે કારણ કે તેનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં થઈ રહ્યો છે.
સરકારી ગાઈડલાઈનનું પાલન કરો
લોકોના આધાર નંબરનો ઉપયોગ સિમ કાર્ડ મેળવવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કરવામાં આવે છે. લોકોને ડરાવવા માટે છેતરપિંડી કરનારાઓ દ્વારા સ્કાયપ જેવા વીડિયો કોલિંગ પ્લેટફોર્મ પર કોલ કરવા માટે પણ પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. TRAIએ સ્પષ્ટતા કરી છે કે આવી કોઈપણ પ્રવૃતિઓ નિયમનકારી સત્તા સાથે કોઈ સંબંધ નથી. TRAI એ લોકોને જાણ કરી છે કે તે કોઈ પણ વ્યક્તિગત ગ્રાહકના મોબાઈલ નંબરને બંધ અથવા બ્લોક કરવા માટે કાર્ય કરતું નથી.
નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર ફરીયાદ નોંધાવો
TRAIએ સ્પષ્ટતા કરી છે કે આવા કોલ અને મેસેજ ગેરકાયદેસર છે અને તેનાથી સાવધ રહેવું જોઈએ. લોકોને કહેવામાં આવ્યું છે કે TRAI તરફથી દાવો કરવામાં આવતા કોઈપણ કોલ અથવા મેસેજને તરત જ સંબંધિત અધિકારીઓને તેની જાણ કરે. આવી ઘટનાઓનો ભોગ બનેલા લોકો સીધો જ સર્વિસ પ્રોવાઈડરનો સંપર્ક કરી શકે છે. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ [cybercrime.gov.in](https://cybercrime.gov.in) અથવા સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર તેમની ફરિયાદ નોંધાવી શકે છે. સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી એ પણ એક વિકલ્પ છે.