Gandhinagar : કેન્દ્રીય ગૃહ તથા સહકારિતામંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસ (5થી 7 ડિસેમ્બર) ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન ₹1506 કરોડનાં વિકાસકાર્યોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત કરીને અમદાવાદ અને ગાંધીનગરના નાગરિકોને વિકાસકાર્યોની ભેટ આપશે. સૌથી પહેલા તેમમે GMDC ગ્રાઉન્ડમાં યોજાયેલા સ્વદેશોત્સવ કાર્યક્રમમાં સ્ટોલ નિહાળ્યા હતા. આ સમયે તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી પણ હતા. ત્યાર બાદ તેઓ આગામી કાર્યક્રમમાં હાજરી આપવા રવાના થઈ ગયા હતા.
આજે કેન્દ્રીય અમિત શાહના હસ્તે ગાંધીનગરમાં 68 કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રકલ્પોમાં બગીચાઓનું આધુનિકીકરણ, યોગ સ્ટુડિયો, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ફોર-લેન રેલવે ઓવરબ્રિજનો સમાવેશ થાય છે, જે શહેરને વધુ ‘લવેબલ’ અને ‘લિવેબલ’ બનાવશે. એક સમયે માત્ર કર્મચારીઓના નગર તરીકે ઓળખાતું ગાંધીનગર હવે જીવંત શહેર બની ગયું છે. વધતી વસતિ સાથે શહેરનો વિકાસ પણ થયો છે. ગાંધીનગર મહાપાલિકા દ્વારા સેક્ટર-22માં બે મહત્ત્વના પ્રકલ્પોનું લોકાર્પણ થશે, જેમાં 7196 ચોરસ મીટર વિસ્તારમાં 2.48 કરોડના ખર્ચે બગીચાનું આધુનિકીકરણ કરાયું છે, જેની વિશેષતાની વાત કરીએ તો 5100 ચો.મી. ગ્રીન એરિયા, 422 મીટર વોક-વે, કસરતનાં સાધનો, બાળકોનાં રમકડાં અને શૌચાલય જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે.



