Gujarat : રાજ્યમાં થોડા સમય પહેલા ગાંધીનગર (Gandhinagar) ખાતે વિધાનસભાની મુકાકાતે કેટલાક કલાકારો ગયા હતા અને ત્યાર બાદ વિક્રમ ઠાકોર (Vikram Thakor) ની નારાજગી સામે આવી હતી. વિક્રમ ઠાકોર (Vikram Thakor) ની નારાજગી બાદ સરકાર દ્વારા ગુજરાત ભરમાંથી કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું અને મુલાકાત માટે પણ ગયા હતા.
ખેડૂતોને વિધાનસભા મુલાકાત માટે આમંત્રણ આપવા માટે માંગ ઉઠી
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને વિસાવદર (Visavadar) વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા (Gopal Italiya) એ સોસીયલ મીડિયામાં એક વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા ગુજરાત સરકારે ભાજપની વાહવાહી અને ચાપલુસી કરતા હોય તેવા કલાકારોને વિધાનસભામાં આમંત્રણ આપ્યું હતું અને તેમનું સન્માન કર્યું હતું. ત્યારબાદ લોકપ્રિય કલાકાર વિક્રમભાઈ ઠાકોરે આ મુદ્દે નારાજગી વ્યક્ત કરી અને પોતાનો અવાજ ઉઠાવ્યો અને માંગણી તરીકે ફક્ત અમુક કલાકારોની જગ્યાએ તમામ સમાજના કલાકારોને વિધાનસભામાં આમંત્રિત કરવા જોઈએ. ત્યારબાદ ભાજપ સરકાર પર દબાણ આવ્યું અને તેમણે તમામ સમાજના લોકપ્રિય કલાકારોને વિધાનસભામાં આમંત્રિત કર્યા અને તેમનું સન્માન કર્યું. તું મારો સવાલ છે કે જે લોકોએ ગુજરાત બનાવ્યું છે અને જે લોકો ગુજરાતના પાયામાં છે તેવા ગુજરાતના ખેડૂતો વિધાનસભામાં કેમ ન આમંત્રિત થઈ શકે ?
ગોપાલ ઇટાલિયાએ વિસાવદરના ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો
ઇટાલિયાએ ગુજરાતની ભાજપ સરકારને વિનંતી કરતા કહ્યું હતું કે વિસાવદર ભેસાણ વિધાનસભાના જે પણ પ્રગતિશીલ ખેડૂતો છે, તે ખેડૂતોને વિધાનસભામાં આમંત્રિત કરવામાં આવે અને તેમને વિધાનસભામાં સન્માનિત કરવામાં આવે તેવી હું માંગણી કરું છું. જો અલગ અલગ સમાજના લોકપ્રિય કલાકારો તથા સરકારી કલાકારો વિધાનસભામાં જઈ શકતા હોય તો ગુજરાતના ખેડૂતો વિધાનસભામાં શા માટે ન જઈ શકે ? તો ગુજરાત સરકારે ગુજરાતના ખેડૂતોને વિધાનસભામાં આમંત્રિત કરવાનો કાર્યક્રમ શરૂ કરવો જોઈએ અને તેની શરૂઆત વિસાવદર ભેસાણ વિધાનસભાથી કરવી જોઈએ. મને આશા છે કે ગુજરાતની ભાજપ સરકાર વિસાવદરના ખેડૂતોને વિધાનસભામાં બોલાવીને સન્માનિત કરશે, જેથી ખેડૂતોને પણ વિધાનસભા પોતીકી લાગશે.