Gujarat By-Election – રાજ્યમાં બે વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ચૂંટણી પંચે આજે કડી અને વિસાવદર બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત કરી છે, આગામી 19 જૂનના રોજ અહીં ચૂંટણી યોજાશે અને 23 જૂનના દિવસે મતગણતરી હાથ ધરાશે. ખાસ વાત છે કે, બંને બેઠકો છેલ્લા કેટલાક સમયથી ખાલી પડેલી હતી. ચૂંટણી પ્રક્રિયા માટે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત સોમવાર (26 મે)થી શરૂ થશે.
કઈ-કઈ બેઠક પર યોજાશે પેટાચૂંટણી?
જે બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, તેમાં ગુજરાતની બે બેઠક કડી અને વિસાવદર સામેલ છે. આ સિવાય કેરળની નિલંબુર વિધાનસભા બેઠક, પંજાબની લુધિયાણા પશ્ચિમ બેઠક અને પશ્ચિમ બંગાળની કાલીગંજ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે.
ચૂંટણીપંચે જણાવ્યું કે, 19 જૂને સવારથી સાંજ સુધી મતદાન યોજાશે, આ દરમિયાન તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે, જેથી મતદારો કોઈપણ મુશ્કેલી વિના મતદાન કરી શકે. મતદાન બાદ 23 જૂને મતગણતરી થશે અને તે જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણીપંચે મતદારોને ઉત્સાહભેર મતદાન કરવાની અપીલ કરી છે.
કડી અને વિસાવદરની બેઠક કેમ ખાલી થઈ બેઠક?
ગુજરાતની વાત કરીએ તો, કડીમાં પૂર્વ ધારાસભ્ય કરસન સોલંકીના મૃત્યુના કારણે કડી વિધાનસભા બેઠક ખાલી થઈ હતી. આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. આ સિવાય વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યે રાજીનામું આપી ભાજપમાં સામેલ થઈ ગયા હતાં, જેના કારણે વિસાવદર બેઠક ખાલી થઈ હતી.
NewzRoomGujarat સાથેની ટેલિફોનીક વાતચીતમાં ભૂપત ભાયાણીએ જણાવ્યું હતું કે, હું જ વિસાવદરથી ચૂંટણી લડીશ. ભૂપત ભાયાણીના નિવેદનથી ચોક્કસથી હર્ષદ રિબડીયાના સપના રોળાય ગયા છે. મહત્વનું છે કે ચૂંટણીની તારીખ પહેલા જ આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાનું નામ જાહેર કરી દીધું હતું. છેલ્લા ત્રણ મહિના કરતા વધારે સમયથી ગોપાલ ઈટાલિયા વિસાવદરમાં ચૂંટણી પ્રચાર શરૂ કરી ચૂક્યા છે.