ભારતીય ક્રિકેટ ટીમ હાલ ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝ રમી રહ્યું છે. ત્યારબાદ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે. ત્યાં પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમાવાની છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના ચીફ સિલેક્ટર અજીત અગરકરે ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપમાં ભારત-એ ટીમની જાહેરાત કરી દીધી છે. તેઓએ અભિમન્યુ ઈશ્વરનને વાઇસ કેપ્ટન બનાવ્યો છે.
ઋતુરાજ અને અભિમન્યુ બેક-અપ ઓપનર તરીકે સીનિયર ટીમમાં દાવેદાર
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ભારત-એ ટીમમાં સામેલ થતાં જ ઋતુરાજ અને અભિમન્યુ બેક-અપ ઓપનર તરીકે સીનિયર ટીમમાં સામેલ થવાના દાવેદાર બની ગયાં છે. ભારતની ટેસ્ટ અથવા ટી20 ટીમનો કોઈ પણ ખેલાડી ભારત-એ ટીમમાં સામેલ નથી, કારણ કે તેનું શેડ્યૂલ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચ અને દક્ષિણ આફ્રિકા સામેની T20 મેચ સાથે ટકરાશે. ભારતીય ટીમ 5 નવેમ્બર સુધી ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સિરીઝ રમશે. ત્યારબાદ 8 થી 15 નવેમ્બર સુધી સાઉથ આફ્રિકામાં 4 ટી20 મેચની સિરીઝ થશે.
15 થી 17 નવેમ્બરની વચ્ચે 3 દિવસની મેચ રમશે
ભારત-એ અને ઓસ્ટ્રેલિયા-એ અને ઓસ્ટ્રેલિયા-એ એકબીજાની સામે 2 ચાર દિવસની ફર્સ્ટ ક્લાસ મેચ રમશે. પહેલી મેચ 31 ઓક્ટોબર અને બીજી મેચ 7 નવેમ્બરે શરૂ થશે. ત્યારબાદ ઋતુરાજ ગાયકવાડની ટીમનો મુકાબલો રોહિત શર્માની કેપ્ટનશીપવાળી સીનિયર ટીમ સાથે થશે. બંને વચ્ચે પ્રેક્ટિસ મેચ રમવામાં આવશે. રોહિત શર્મા અને ઋતુરાજ ગાયકવાડની ટીમ પર્થના WACA સ્ટેડિયમમાં 15 થી 17 નવેમ્બરની વચ્ચે 3 દિવસની મેચ રમશે. ત્યારબાદ 22 નવેમ્બરે પર્થના ઑપ્ટસ સ્ટેડિયમમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પહેલી મેચ રમવામાં આવશે.
નીતિશ કુમાર રેડ્ડી ભારત એ ટીમમાં સૌથી મોટી સરપ્રાઇઝ
નીતિશ કુમાર રેડ્ડી ભારત એ ટીમમાં સૌથી મોટી સરપ્રાઇઝ છે. તે બાંગ્લાદેશ સામે ત્રણ મેચની ટી20 સિરીઝનો ભાગ હતો. તે બીજા મુકાબલામાં પ્લેયર ઑફ ધ મેચ બન્યો હતો. તેનું સામેલ થવું નિશ્ચિત કરે છે કે, તેને સાઉથ આફ્રિકાના પ્રવાસથી બહાર કરી દીધો છે. પસંદગીકાર તેને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલાં રેડ બૉલ સાથે ટેસ્ટ કરવા ઈચ્છે છે. જો તેનું પ્રદર્શન શાનદાર રહ્યું તો તે ઑલરાઉન્ડર રીતે ટીમમાં સામેલ થઈ શકે છે.