બાંગ્લાદેશમાં સરકાર બદલાયા બાદથી લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આધ્યાત્મિક નેતા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડના થોડા દિવસો બાદ બાંગ્લાદેશના ચટગાંવમાં એક હિન્દુ પૂજારીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા પૂજારીની ઓળખ શ્યામ દાસ પ્રભુ તરીકે કરવામાં આવી છે, જે કથિત રીતે જેલમાં ચિન્મય કૃષ્ણ દાસને મળવા ગયા હતાં.
બ્રહ્મચારી શ્યામ દાસ પ્રભુની ધરપકડ કરી
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કોઈપણ સત્તાવાર વોરંટ સિવાય ધરપકડ કરવામાં આવી છે. ઇસ્કોન કોલકાતાના ઉપાધ્યક્ષ અને પ્રવક્તા રાધારમણ દાસે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી છે. જેમાં કહ્યું કે, ‘બીજા એક બ્રહ્મચારી શ્યામ દાસ પ્રભુની આજે ચટગાંવ પોલીસે ધરપકડ કરી લીધી.’
હિન્દુ મંદિર કટ્ટરપંથીઓના નિશાના પર
બાંગ્લાદેશની ઈન્ટરનેશનલ સોસાયટી ઑફ ક્રિષ્ના કોન્શિયસનેસ (ઈસ્કોન)ના ભૂતપૂર્વ સભ્ય હિન્દુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસની સોમવારે રાજદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. મંગળવારે તેને જામીન આપવાનો ઈનકાર કરી દેવાયો હતો. બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદથી જ હિન્દુ મંદિર કટ્ટરપંથીઓના નિશાના પર છે. હિન્દુ મંદિરો પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે.
એક અઠવાડિયામાં વિદેશ મંત્રાલયનું બીજી વખત નિવેદન
ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ પર વિદેશ મંત્રાલયે કહ્યું કે, જ્યાં સુધી વ્યક્તિઓ વિરૂદ્ધ મામલાઓનો સવાલ છે, અમને જાણવા મળ્યું છે કે, કાયદાકીય પ્રક્રિયાઓ ચાલી રહી છે. અમને આશા છે કે આ પ્રક્રિયાઓ મામલે ન્યાયપૂર્વક, નિષ્પક્ષ અને પારદર્શી રીતે ઉકેલાશે, જેનાથી તમામ સંબંધિત લોકોને કાયદાકીય અધિકારોનું પૂર્ણ સન્માન મળે. આ બીજી વખત છે જ્યારે વિદેશ મંત્રાલયે આ અઠવાડિયામાં આવું નિવેદન આપ્યું હોય.