Water Crisis in Gujarat: એકબાજુ ઉનાળામાં તાપ અને હિટવેવથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તો બીજી બાજુ વધતી ગરમીને લીધે રાજ્યના અમદાવાદ(Ahemdabad),વડોદરા(Vadodara),રાજકોટ(Rajkot) જેવા મોટા શહેરી વિસ્તારોમાં પીવાના પાણીની અછત સર્જાતાં શહેરીજનો ચિંતામાં છે. તો રાજ્યના ડેમોમાં પણ પાણીની સ્થિતિ જોતાં એવુ લાગી રહ્યું છે કે,આવનારા દિવસોમાં ગુજરાત(Gujarat)માં પાણીનુ સંકટ ઊભું થઈ શકે છે. હાલ રાજ્યના ડેમોમાં માત્ર 50 ટકા જ પાણી બચ્યું છે. પાણીના સંકટને જોતાં રાજ્ય સરકાર પણ દોડતી થઈ છે. છેલ્લી ઘડીએ સરકારને પાણીનું આયોજન કરવા મજબૂર થવુ પડ્યું છે.
હજુ તો ઉનાળો આખો બાકીને રાજ્યભરમાં પાણીની અછત,સિંચાઈના પાણી પર પ્રતિબંધ મુકાય શકે તેવા સંકેત.
રાજ્યમાં ગરમી વધતાની સાથે જ પીવાના પાણીનો ઉપયોગ વધ્યો છે. હજુ તો ઉનાળો આખો બાકી છે ત્યાં અત્યારથી પાણીનું સંકટ ઉભુ થાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ રહી છે તેનું કારણ એ છે કે, ઉત્તર ગુજરાતમાં 15 ડેમોમાં માત્ર 658 એમસીએમ પાણી બચ્યુ છે. એટલે કે, આ વિસ્તારના ડેમોમાં માત્ર 34.13 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. મધ્ય ગુજરાતમાં 17 ડેમોમાં 58.35 ટકા પાણીનો જથ્થો ડેમોમાં સંગ્રહાયેલો રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ 13 ડેમોમાં 5046.35 એમસીએમ પાણી બાકી બચ્યુ છે.તો પાણીની વધુ જરૂરિયાત વાળા વિસ્તાર કચ્છના 20 ડેમોમાં 123.49 એમસીએમ પાણી રહ્યુ છે. એટલે કે 37.94 ટકા પાણી રહ્યુ છે. સૌરાષ્ટ્રમાં સ્થિતિ ગંભીર બને તેવા એંધાણ છે કેમકે, 141 ડેમો પૈકી એકમાત્ર જ ડેમ સંપૂર્ણપણે ભરાયેલો રહ્યો છે. આ ડેમોમાં 10145 એમસીએમ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. એટલે સૌરાષ્ટ્રના ડેમોમાં 40.37 ટકા પાણી બચ્યુ છે.
રાજ્યમાં અત્યારે માત્ર પાંચ ડેમો જ એવાં છે જેમાં 90 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે પણ ચિંતાજનક વાત એ છે કે, 28 ડેમો તો સ્ટેડિયમ બન્યાં હોય તેવી સ્થિતિ છે. આ ડેમોમાં 10 ટકાય પાણી રહ્યુ નથી. 92 ડેમોમાં પાણીની માત્રા 30 ટકાથી ઓછી છે. બનાસકાંઠાના ડેમોમાં 11.37 ટકા,સાબરકાંઠામાં 27 ટકા, દ્વારકામાં 12 ટકા, મોરબીમાં 28 ટકા અને સુરેન્દ્રનગરના ડેમોમાં 33 ટકા પાણીનો જથ્થો રહ્યો છે. આ બધાય જીલ્લામાં આગામી દિવસોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાયે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે.
શહેરોમાં અત્યારથી જ પીવાના પાણી માટે પ્રશ્નો ઉભા થયા છે ત્યારે ગામડાઓમાં ટેન્કરો દોડાવવા પડે તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. હવે જ્યારે પાણીની સમસ્યા મોરચો માંડીને ઊભી છે ત્યારે સરકારે છેલ્લી ઘડીએ બેઠક યોજીને પાણી મુદ્દે આયોજન કરવા મજબૂર થવું પડ્યું છે. જે રીતે ડેમોમાં પાણીનો જથ્થો ઘટી રહ્યો છે તે જોતાં ખેડૂતો પર સિંચાઈના પાણી પર પ્રતિબંધ મૂકાય તે દિવસો પણ દૂર નથી.