અમેરિકન પ્રોસિક્યુટરે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર ગંભીર આરોપ લગાવ્યા છે. યુએસ પ્રોસિક્યુટર્સે બ્રુકલિન, ન્યૂયોર્કમાં દાખલ કરાયેલા કેસમાં જણાવ્યું છે કે, અદાણી ગ્રુપે ભારતમાં સોલાર પાવર કોન્ટ્રાક્ટ લેવા માટે $250 મિલિયન (રૂ. 2,100 કરોડ)ની લાંચ આપી હતી. જેમાં ગૌતમ અદાણી, સાગર આર અદાણી અને વિનીત એસ જૈન પર પણ અમેરિકન રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનો અને ન્યાયમાં અવરોધ ઉભો કરવાનો આરોપ છે. હવે આ અંગે અદાણી ગ્રુપ દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું છે.
યુનાઇટેડ સ્ટેટ્સ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ફોજદારી આરોપ અને સિવિલ ફરિયાદ નોંધાય
કંપનીએ જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને યુનાઇટેડ સ્ટેટ્સ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને અમારા બોર્ડના સભ્યો ગૌતમ અદાણી અને સાગર અદાણી વિરુદ્ધ ન્યૂયોર્કના પૂર્વીય જિલ્લા માટે યુનાઇટેડ સ્ટેટ્સ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ફોજદારી આરોપ અને સિવિલ ફરિયાદ નોંધાયેલી છે. યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે અમારા બોર્ડના સભ્ય વિનીત જૈનનો પણ સમાન ગુનાહિત આરોપોમાં સમાવેશ કર્યો છે. આ ઘટનાક્ર્રમને ધ્યાનમાં રાખીને કંપનીએ નિર્ણય લીધો છે કે ગ્રૂપની પેટાકંપનીઓએ થોડાક સમય માટે સૂચિત યુએસડી બોન્ડ ઓફરિંગ સાથે આગળ ન વધવાનું નક્કી કર્યું છે.
અદાણી ગ્રુપના શેરમાં 10 થી 20 ટકાનો ઘટાડો
અમેરિકામાં ગૌતમ અદાણી પર લાંચ લેવાના આરોપો બાદ ગુરુવારે ભારતીય શેરબજારમાં અરાજકતા જોવા મળી હતી. અદાણી ગ્રુપના શેરમાં 10 થી 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં 15 ટકાનો ઘટાડો થયો હતો. અદાણી પોર્ટ અને સેઝ, અદાણી પાવર એન્ડ એનર્જી અને ગ્રીન એનર્જી સંબંધિત શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જેના કારણે થોડી જ મિનિટોમાં અદાણી ગ્રુપના માર્કેટ કેપને 2.24 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
20 વર્ષમાં 2 બિલિયન ડોલરથી વધુનો નફો
એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ સમગ્ર મામલો અબજો ડોલરના નફા સાથે સંબંધિત છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફરિયાદીઓએ આરોપ લગાવ્યો છે કે આ કોન્ટ્રાક્ટ દ્વારા અદાણી ગ્રુપને 20 વર્ષમાં 2 બિલિયન ડોલરથી વધુનો નફો થવાની અપેક્ષા હતી. આરોપ છે કે આ લાંચ 2020 થી 2024 વચ્ચે અધિકારીઓને આપવામાં આવી હતી.