Rohit Sharma: ભારતે રોહિત શર્માની કેપ્ટનશીપમાં ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે સીરિઝની પહેલી મેચ જીતીને શાનદાર શરૂઆત કરી હતી. બંને ટીમ વચ્ચેની પહેલી મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે 38.4 ઓવરમાં 4 વિકેટથી મેચ જીતી લીધી હતી. ભારતે આ મેચ તો જીતી લીધી છે. પરંતુ ટીમ મેનેજમેન્ટ પર વધુ એક ટેન્શન કેપ્ટન રોહિત શર્માનું ખરાબ પ્રદર્શન છે. રોહિત સતત ફ્લોપ સાબિત થઈ રહ્યો છે. તેનું બેટ એકદમ શાંત થઇ ગયું છે.
રોહિત શર્માનું બેટ એકદમ શાંત
આ મેચમાં કેપ્ટન રોહિત શર્મા 7 બોલ રમીને માત્ર 2 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. પાકિસ્તાન મૂળનો ઇંગ્લેન્ડનો ઝડપી બોલર સાકિબ મહમૂદે રોહિતને પોતાની ઇનસ્વિંગર બોલમાં ફસાવીને તેને કેચ આઉટ કરી દીધો હતો. ભારતીય ટીમને ઇંગ્લેન્ડ સામે વનડે સીરિઝ બાદ આ જ ફોર્મમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમવાની છે. એવામાં રોહિતનું ખરાબ ફોર્મ બધા માટે ચિંતાનું કારણ બની ગયું છે.
16 ઇનિંગ્સમાં માત્ર બે વખત જ તે 20થી વધુ રન બનાવી શક્યો
રોહિત પાસે હજુ પણ આ સીરિઝમાં 2 વનડે રમવાની બાકી છે. જેમાં તે વાપસી કરી શકે છે. છેલ્લી કેટલીક ઇનિંગ્સમાં તેનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. રોહિતે ત્રણેય ફોર્મેટમાં છેલ્લી 16 ઇનિંગ્સમાં માત્ર 166 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની સરેરાશ 10.37 રહી હતી. આ 16 ઇનિંગ્સમાં રોહિતનો સ્કોર અનુક્રમે 6, 5, 23, 8, 2, 52, 0, 8, 18, 11, 3, 6, 10, 3, 9, 2 રહ્યો હતો. આ દરમિયાન તે માત્ર એક અડધી સદી કરી શક્યો હતો. આ 16 ઇનિંગ્સમાં માત્ર બે વખત જ તે 20થી વધુ રન બનાવી શક્યો હતો.