Mahakumbh 2025: સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે શુક્રવારે યુપી સરકારના મહાકુંભમાં પ્રભાવિત શ્રદ્ધાળુઓને મેડિકલ સર્વિસ, ભોજન અને કપડાં ઉપલબ્ધ કરાવવા કહ્યું. અખિલેશની આ ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે બુધવારે (29 જાન્યુઆરી) મહાકુંભના સંગમ વિસ્તારમાં પવિત્ર સ્નાન કરવા જતી વખતે નાસભાગમાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા છે અને 60થી વધુ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા છે.
60થી વધુ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા
અખિલેશે કહ્યું કે, અકસ્માતની હકીકત સંતાડવી, આંકડા છુપાવવા, સાક્ષીઓ છુપાવવા એક ગુનો છે. ઉત્તર પ્રદેશ સરકાર વળતર ન આપવું પડે એટલે મૃતકોની સંખ્યા છુપાવી રહી છે. યુપી સરકાર તમામ જાણકારી છુપાવી રહી છે. સરકાર ઇચ્છે છે કે, લોકોનું ધ્યાન ભટકાવવામાં આવે, અકસ્માતની પાછળ કોઈ ષડયંત્ર નથી ફક્ત સરકારની નિષ્ફળતા છે, સાધુ-સંત પણ આ જ કહી રહ્યા છે.
અખિલેશ યાદવના સરકાર પર ગંભીર આક્ષેપ
નોંધનીય છે કે, બુધવારે (29 જાન્યુઆરી) મહાકુંભના સંગમમાં નાસભાગમાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા હતા. અન્ય મીડિયા અહેવાલ અનુસાર, મહાકુંભમાં ફક્ત એક નહીં પરંતુ બે જગ્યાએ નાસભાગ મચી હતી. આ ઘટના સંગમના સામેના ભાગમાં જુસી વિસ્તારમાં પણ ભયાનક નાસભાગ મચી હતી. આ નાસભાગમાં પણ અનેક લોકોના મોત થયાની માહિતી મળી રહી છે. પરંતુ, ઉત્તર પ્રદેશ સરકાર અથવા તંત્ર તરફથી આ વિશે કોઈ વાત કરવા પણ તૈયાર નથી.