Banaskantha: બનાસકાંઠા જિલ્લા માંથી વિભાજન કરી નવીન વાવ-થરાદ જીલ્લો બનાવ્યા બાદ આજે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય થરાદ આવતા તેમનું લાખણી ,જેતડા અને થરાદમાં ઢોલ નગારા સાથે પુષ્પ વર્ષા કરી ફુલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરાયું હતું. થરાદમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી (Shankar Chaudhary) એ કહ્યું હતું કે, આ કોઈ વિભાજન નથી નવ નિર્માણ છે, અને નવો જિલ્લો બનવાથી આ વિસ્તારમાં વિકાસ ઝડપી બનશે.વાવ-થરાદ નવો જિલ્લો બન્યા બાદ થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી (Shankar Chaudhary) ગાંધીનગરથી થરાદ આવતા લાખણીમાં મોટી સંખ્યામાં લોકો ઢોલ તેમજ ફુલહાર લઈને તેમના સ્વાગત માટે ઉમટી પડ્યા હતા. જ્યાં કન્યાઓ માથે બેડાં લઈને શંકર ચૌધરી (Shankar Chaudhary) નું સામૈયું કર્યું હતું.
નવા જીલ્લા અંગે શંકર ચૌધરીએ શું કહ્યું
શંકર ચૌધરી (Shankar Chaudhary) એ વિભાજનને લઈને કહ્યું કે આ કોઈ વિભાજન નથી પણ નવ નિર્માણ છે.વાવ થરાદ જિલ્લો અલગ થવાથી મોટા પ્રમાણમાં ડેવલપમેન્ટ થશે,સરહદી વિસ્તારની ઝડપી કાયાપલટ થશે. વાવ-થરાદ સીધો અમદાવાદ અને પાટનગર સાથે કનેક્ટ થશે.બૃહદ બનાસકાંઠા (Banaskantha) જિલ્લાનું વિભાજન નથી. આ નવ નિર્માણ છે માટે વિભાજન કહેવું યોગ્ય નથી.આ વિસ્તારે વર્ષોથી દુષ્કાળો સહન કર્યો છે. પ્રધાનમંત્રીએ અહીં નર્મદાનું પાણી લાવ્યા.સુજલામ સુફલામ આવી, એરફોર્સ લાવ્યા અને અહીંનો વિકાસ થયો છે. નવા જિલ્લાના નિર્માણના કારણે વિકાસના દરવાજા ખુલી ગયા છે.નવી કોઈપણ ઘટના કે, નિર્માણ થતું હોય તો લોકો પોતાનો મત મૂકે અને એના ઉપર સરકાર નિર્ણય કરે છે. આંગડજીનું ધામ દિયોદર છે તો તેમની ઈચ્છા હોય કે, દિયોદર જિલ્લો બને.ધરણીધર અને નડેશ્વરી આસ્થા થી જોડાયેલું છે.વાવ-થરાદ જિલ્લો બનવાથી કોઈ નારાજ છે જ નહીં દરેકને વાત કરવાનો અધિકાર છે.આ નવો જીલ્લો બનતા કાંકરેજ,ધાનેરા અને દિયોદરનો પણ વિકાસ થશે. આ સીમાવતી વિસ્તાર છે.તેથી હવે અહીં નવી તકો ઉભી થશે.
શંકર ચૌધરીનું જોરદાર સ્વાગત
વિધાનસભાના અધ્યક્ષ થરાદ પહોંચ્યા બાદ થરાદની રેફરલ હોસ્પિટલ નજીક મુખ્ય માર્ગ ઉપર તેમનું જાહેરમાં સન્માન કરાયું હતું. જ્યાં થરાદ,લાખણી, વાવ,સુઇગામ,ભાભરના વિવિધ સંગઠનો ,સામાજિક આગેવાનો ,ભાજપના વિવિધ મંડળો,માર્કેટયાર્ડની કમિટીઓ સહિત લોકોએ ફુલહારથી સન્માન કર્યું હતું. ધાનેરા વિધાનસભાના 2022ના ભાજપના ઉમેદવાર અને ભાજપના આગેવાન ભગવાન પટેલ સહિત અનેક ધાનેરાના લોકોએ પણ ફુલહાર પહેરાવીને સન્માન કર્યું હતું. બનાસકાંઠાના પૂર્વ સંસદ પરબત પટેલ સહિત વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર ,ગોવા રબારી સહિત અનેક નેતાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા