ચીનની રેનમિન યુનિવર્સિટી અને ચાઇના ગ્લોબલ ટેલિવિઝન નેટવર્ક (CGTN) ન્યૂ એરા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ટરનેશનલ કમ્યુનિકેશન (NEIIC) દ્વારા ક્લાઇમેટ ચેન્જે વૈશ્વિક સર્વે હાથ ધર્યો છે. આ સર્વેક્ષણના ડેટા આબોહવા સંકટનો સામનો કરવાની જરૂરિયાત પર મજબૂત વૈશ્વિક સર્વસંમતિ દર્શાવે છે. સર્વે અનુસાર વિકસિત દેશો કરતાં વિકાસશીલ દેશો જળવાયુ સંકટનો સામનો કરવા માટે વધુ કામ કરે છે. 38 દેશોના 7,658 લોકો વચ્ચે હાથ ધરવામાં આવેલા આ સર્વેમાં વિકાસશીલ દેશોની ગ્રીન સોલ્યુશન્સ અપનાવવાની ઈચ્છા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો અને આબોહવા સંકટને પહોંચી વળવા વૈશ્વિક સહયોગ વધારવા અપીલ કરી હતી.
89.8 ટકા લોકો ક્લાઈમેટ ગવર્નન્સ મુદ્દે ખૂબ જ ચિંતિત
સર્વેમાં સામેલ 90.3 ટકા લોકોએ કહ્યું કે જળવાયુ પરિવર્તનનો સામનો કરવો એ વર્તમાન સમયની મુખ્ય જરૂરિયાત છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયે તેના માટે સર્વસંમતિ બનાવીને વધુ વ્યવહારુ પગલાં ભરવા જોઈએ. સર્વેના પરિણામો પ્રમાણે વૈશ્વિક સ્તરે 90.4% લોકો માને છે કે તાજેતરના વર્ષોમાં હવામાનની ગંભીર ઘટનાઓની સંખ્યામાં વધારો થયો છે. 87.3 ટકા લોકોને લાગે છે કે આ ઘટનાઓનું વારંવાર થવું એ વૈશ્વિક વાતાવરણમાં ઝડપથી બગાડનો સંકેત આપે છે. 89.8 ટકા લોકો ક્લાઈમેટ ગવર્નન્સ મુદ્દાઓ વિશે ખૂબ જ ચિંતિત છે.
ગ્રીન ઈન્ડસ્ટ્રીઝને વેગ આપવાનું સમર્થન
સર્વેક્ષણમાં સામેલ વિકાસશીલ દેશોના 80.8% લોકોએ ‘ઇકો-ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ’ માટે વધુ ચૂકવણી કરવાની તેમની તૈયારી દર્શાવે છે. આ સિવાય વિકાસશીલ દેશોના 86.6 ટકા લોકો નવી ઉર્જા ટેકનોલોજી અને ઉત્પાદનોને સક્રિયપણે અપનાવે છે, જે વિકસિત દેશો કરતા 17 ટકા વધુ છે. વિકાસશીલ દેશોના 96.1 ટકા લોકોએ ક્લાયમેટ ચેન્જનો સામનો કરવા માટે ‘ગ્રીન ઈન્ડસ્ટ્રીઝ’ના વિકાસને વેગ આપવાનું સમર્થન કર્યું હતું.
ભારત ક્લાઈમેટ ચેન્જને સંતુલિત કરવા વ્યૂહરચના અપનાવી રહ્યું છે
આ સર્વેમાં અમેરિકા, જર્મની અને જાપાન જેવા વિકસિત દેશો તેમજ આર્જેન્ટિના, ભારત અને કેન્યા જેવા વિકાસશીલ દેશોના લોકોને સામેલ કરવામાં આવ્યા છે. ભારત સરકારે અઝરબૈજાનમાં ચાલી રહેલી COP29 કોન્ફરન્સમાં ક્લાઈમેટ ચેન્જને લઈને વિકસિત દેશો પાસેથી વધુ સહયોગ માટે પણ અપીલ કરી છે. જ્યારે મર્યાદિત સંસાધનો હોવા છતાં ભારત ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવા માટે સંતુલિત વ્યૂહરચના અપનાવી રહ્યું છે.