Weather Update :- મે માસના પ્રથમ સપ્તાહમાં પડેલા કમોસમી વરસાદ પછી અમદાવાદ સહિત રાજ્યના મુખ્ય શહેરોનું તાપમાન 40 ડીગ્રીની નીચે રહેતું હતું. પરંતું છેલ્લા ચારેક દિવસથી અમદાવાદનું મહત્તમ તાપમાન 40 ડીગ્રીને ઉપર થઇ ગયું છે. ત્યારે હવામાન નિષ્ણાંતો દ્વારા વરસાદની આગાહી વચ્ચે મહત્તમ તાપમાનમાં 2 ડીગ્રીના વધારા સાથે શનિવારનું મહત્તમ તાપમાન 42.8 ડીગ્રી નોંધાયું છે. જ્યારે લઘુત્તમ તાપમાન 29.5 ડીગ્રી નોંધાતા નગરવાસીઓનો અસહ્ય ઉકળાટની સાથે સાથે ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
ત્યારે પ્રશ્ન એ છે કે, આગ ઝરતી ગરમીમાંથી ગુજરાતીઓને રાહત ક્યારે મળશે. પરંતુ એ માટે હજુ રાહ જોવી પડશે. હવામાન વિભાગ દ્વારા 2જી, જૂન સુધી આકરી ગરમીની આગાહી કરવામાં આવી રહી છે. તેની શરૂઆત હોય તેમ શનિવારથી જ થઈ ગઈ હોય છે. સૂર્ય નારાયણે ડ્યુટી સંભાળી લીધી હોય તેમ નગરના આકાશમાંથી વરસાદને બદલે અગનવર્ષા વરસી રહી છે. જોકે છેલ્લા વીસેક દિવસથી નગરવાસીઓ અસહ્ય ઉકળાટનો સામનો કરી રહ્યા હતા. તેમાં હવે ગરમી ભળતા અસહ્ય ઉકળાટની સાથે સાથે અકળાવનારી ગરમીથી નગરવાસીઓ આકળ વિકળ થઇ ગયા છે. નગરના આકાશમાંથી અગનવર્ષાને પગલે નગરવાસીઓ એસી, પંખા અને એર કુલરનો સધીયારો બની રહેશે. નગરનું મહત્તમ તાપમાનમાં વધારાની સાથે સાથે લઘુત્તમ તાપમાનમાં પણ છેલ્લા ત્રણ દિવસથી વધારો થઇ રહ્યો છે. આથી શનિવારે નગરનું લઘુત્તમ તાપમાન 29.5 ડીગ્રી નોંધાતા નગરવાસીઓને દિવસ અને રાત્રે અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમીથી રાહત મળશે નહી તેમ લાગી રહ્યું છે.
હવામાન વિભાગે ‘રેડ એલર્ટ’ જારી કર્યું છે કે રાજ્યના ઘણા ભાગોમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થવાની શક્યતા છે. આ મુજબ, આગામી 48 કલાકમાં કેટલાક સરહદી વિસ્તારોમાં મહત્તમ તાપમાન 1-2 ડિગ્રી સેલ્સિયસ વધવાની શક્યતા છે અને તે 48 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પણ નોંધાઈ શકે છે. શનિવારે સૌથી વધુ તાપમાન ભૂજનું નોંધાયું હતું. ભૂજમાં ગરમીનો પારો 43 ડિંગ્રીને પાર ગયો હતો.
ગુજરાતના નાગરિકો ઉનાળાની ગરમીમાં પોતાના પરિવારને હિટવેવની વિપરીત અસરોથી બચાવી શકે તે માટે રાહત કમિશનરની કચેરી દ્વારા “હિટવેવ” માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
ઉનાળામાં હીટવેવની સંભવિત અસરોને નિવારીને રક્ષણ મેળવી શકાય તે અર્થે માર્ગદર્શિકામાં હીટવેવના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. હીટવેવની આગાહી દરમિયાન આવા લક્ષણ કોઈ પણ વ્યક્તિમાં જણાય તો તાત્કાલિક નજીકના ડોક્ટર, નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. આપાતકાલીન સ્થિતિમાં 108 એમ્બ્યુલન્સને ફોન કરવો.
લૂ લાગવાના (હીટવેવના) લક્ષણો
* માથું દુ:ખવું, પગની પીંડીઓમાં દુઃખાવો થવો
* શરીરનું તાપમાન વધી જવું
* ખૂબ તરસ લાગવી
* શરીરમાંથી પાણી ઓછું થઈ જવું
* વધુ તાવ આવવો
* ગરમ અને સૂકી ત્વચા
* નાડીના ધબકારા વધવા
* ઉલ્ટી થવી, ઉબકા આવવા
* ચકકર આવવા, આંખે અંધારા આવવા
* બેભાન થઈ જવું
* સુધ-બુધ ગુમાવી દેવી
* અતિગંભીર કિસ્સામાં ખેંચ આવવી
લૂ અથવા હિટ સ્ટ્રોકથી બચવાના ઉપાય
* પુષ્કળ પ્રમાણમાં ઠંડુ પાણી, લીંબુ શરબત, છાશ, તાડફળી, નારીયેળનું પાણી, ખાંડમીઠાનું દ્રાવણ અને ORS જેવા પ્રવાહીનું સેવન કરવું
* નાગરીકોએ વધુ પડતો શ્રમ ટાળવો અને શક્ય હોય ત્યાં સુધી તડકામાં ફરવાનું પણ ટાળવું
* ભરબપોરે કામ પર જતા સમયે થોડો સમય છાયડામાં આરામ કરવો
* ઠંડક માટે માથા પર ઠંડુ ભીનું કપડું રાખવું અને શ્રમિકોએ કામના સમયે ઉઘાડા શરીરે ફરવું નહીં.
* ઉપવાસ કરવાનું ટાળવું
* મંદિર, મસ્જિદ, થિયેટર, શોપીંગ મોલ જેવા ઠંડક વાળા સ્થળોએ જવું
* ઘર, ઓફીસ અથવા અન્ય કામ કરતી જગ્યાએ પંખા, કુલર તેમજ ACનો ઉપયોગ કરવો.
* સગર્ભા માતા, નાના બાળકો, વૃદ્ધો તેમજ અશક્ત અને બિમાર વ્યકિતઓનું ખાસ ધ્યાન રાખવું.
* હીટવેવ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું
* બહાર નીકળતા સમયે આખું શરીર અને માથું ઢંકાય તેવા સફેદ-સુતરાઉ અને ખુલ્લા કપડાં પહેરવા
* બહાર નીકળતી વખતે ટોપી, ચશ્માં અને છત્રીનો ઉપયોગ કરવો
* હીટવેવની આગાહીના દિવસોમાં બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં બહાર નીકળવાનું ટાળવું.
* બાળકો માટે કેસુડાનાં ફુલ તથા લીમડાના પાનનો નાહવાના પાણીમાં ઉપયોગ કરવો.
* બજારમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક ખાવો નહી, બજારમાં મળતા બરફનો ઉપયોગ પણ ટાળવો
* લગ્ન પ્રસંગે દૂધ-માવાની બનાવેલી વાનગીઓ ખાવી નહી.
* ચા – કોફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે, તેથી તેનું સેવન ટાળવું.
* ઘરની છત પર સફેદ રંગ, સફેદ ચૂનો અથવા સફેદ ટાઇલ્સ લગાવવી, જે ઘરનું તાપમાન ઘટાડશે.