22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં બાઈસરણ વેલીમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકો, મોટાભાગે પ્રવાસીઓ માર્યા ગયા, જે ભારતમાં 2008ના મુંબઈ હુમલા બાદનો સૌથી ઘાતક હુમલો ગણાય છે. આતંકવાદી હુમલો બાદ દેશભરમાં પાકિસ્તાની નાગરીકો અને બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે અમદાવાદના ચંડોળા તળાવમાં ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂષણખોરોએ ચંડોળા તળાવની આસપાસ અડિંગો જમાવ્યો છે.
પોલીસને બધી ખબર હતીઃ કોંગ્રેસ
ચંડોળા તળાવને મિની બાંગ્લાદેશ બનાવવામાં લલ્લા બિહારીની મુખ્ય ભૂમિકા રહી છે. આ મામલે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ચંડોળાકાંડના મુખ્ય સૂત્રધાર લલ્લા બિહારીને ભાજપનો જ રાજકીય સહારો હતો. કોંગ્રેસએ આરોપ લગાવ્યો કે ભાજપે રાજકીય લાભ ખાટવા લલ્લા ખાનને છાવર્યો હતો, પરિણામે ચંડોળા તળાવની આસપાસ આખુંય સામ્રાજ્ય ઊભું કર્યું હતું. પહેલગામ નજીક આતંકી ઘટના બાદ ગણતરીના કલાકોમાં અમદાવાદ ચંડોળા તળાવની આસપાસના વિસ્તારમાંથી 180 બાંગ્લાદેશી પકડાયાં હતાં એનો અર્થ એ છે કે, પોલીસને બધીય ખબર હતી.
ભાજના શાસનમાં ઘૂસણખોરો કેવી રીતે ઘૂસ્યાઃ કોંગ્રેસ
ગુજરાત કોંગ્રેસે જણાવ્યું કે, ‘ગુજરાતમાં ઘૂસણખોરો સામે જે કાર્યવાહી થઇ રહી છે તેને કોંગ્રેસ સમર્થન આપી રહી છે. પરંતુ બાંગ્લાદેશીઓના નામે નિર્દોષ પરિવારોને હેરાન કરવામાં આવી રહ્યાં છે. ગરીબ કુટુંબોના મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે.’ મહત્ત્વની વાત તો એ છે કે, ભાજપના શાસનમાં ઘૂસણખોરો ગુજરાતમાં ઘૂસ્યા કેવી રીતે? ભાજપ સરકાર ગુજરાતની જનતાને જવાબ આપે.
બે વર્ષ જૂની ફરિયાદ છતાં કાર્યવાહી નહીં કોંગ્રેસ
વર્ષ 2021 અને વર્ષ 2023માં વિપક્ષના નેતાએ લલ્લા બિહારીના ગેરકાયદે દબાણો તોડી પાડવા લેખિત રજૂઆત કરી હતી, તેમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસે કેમ કોઈ કાર્યવાહી કરી નહીં. તેના પરથી સ્પષ્ટ થાય છે કે, રાજકીય લાભ ખાટવા માટે ભાજપ અસામાજીક તત્ત્વોને છાવરે છે.
રાજ્ય ચૂંટણી પંચ પણ રહી રહીને જાગ્યું
ચૂંટણી પંચે ચંડોળા તળાવ વિસ્તારમાં કેટલાં મતદારો છે તે મુદ્દે અહેવાલ માંગ્યો છે. બુથ લેવલ ઓફિસરને દોડાવી માહિતી મંગાવી છે. હાલ લોકસભા, વિધાનસભા કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી નથી, ત્યારે આખાય પ્રકરણમાં ચૂંટણી પંચે ઝૂકાવ્યુ છે. આ મુદ્દો ચર્ચાનો વિષય બની રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશીઓ પાસે ચૂંટણી કાર્ડ કેવી રીતે આવ્યાં તે મામલે સરકારી તંત્ર પણ શંકા ના ઘેરામાં આવ્યું છે.