Gandhinagar : રાજ્ય સરકારના 3 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ પ્રવાસન વિભાગના મંત્રી મુળુભાઈ બેરા તેમજ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનથી ગુજરાત પ્રવાસન નિગમ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) અને સોમનાથ ટ્રસ્ટના સહિયારા પ્રયાસથી રાજ્યના નાગરિકો-પ્રવાસીઓ માટે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દર્શન તેમજ નડાબેટ, વડનગર અને મોઢેરા માટે વિશેષ ટુર પેકેજની શરૂઆત કરવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રવાસ માટે રાજ્ય સરકારનો વાહન વ્યવહાર વિભાગની વોલ્વો બસ નાગરિકોને આરામદાયક ટુર કરવી શકે તે માટે એસી વોલ્વો મૂકી ટુર પેકેજ શરૂ કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદથી સોમનાથ દર્શન ટુર પેકેજ
અમદાવાદના રાણીપ બસ ડેપો ખાતેથી આગામી 28મી એપ્રિલ 2025 થી રોજ સવારે 6 કલાકે GSRTC ની એસી વોલ્વો બસ સોમનાથ માટે ઉપડશે જે સાંજે 4 કલાકે સોમનાથ પહોંચશે અને બીજા દિવસે સોમનાથથી અમદાવાદ પરત ફરશે. જેમાં બે દિવસ અને એક રાત્રી રોકાણ પર એક વ્યક્તિના 4 હજાર રૂપિયા (સિંગલ શેરિંગ હોટેલ રૂમ) જયારે 2 વ્યક્તિના 7050 રૂપિયા (ડબલ શેરિંગ હોટેલ રૂમ સહિત) થશે. જોકે આ પેકેજમાં GSRTCની અધ્યતન એ.સી. વોલ્વો બસમાં પ્રવાસ, હોટેલ રોકાણ, સોમનાથ ખાતે લાઈટ-સાઉન્ડ શો તેમજ સોમનાથ ખાતેના દર્શનિય સ્થળો મ્યુઝિયમ, ત્રિવેણી સંગમ આરતી, ભાલકા તીર્થ, રામ મંદિર, ગીતા મંદિરની મુલાકાત થશે અને બીજા દિવસે બપોરે રામ મંદિર ખાતે કોમ્પ્લિમેન્ટરી પ્રસાદની સગવડ સાથે સોમનાથ ખાતે અગત્યના સ્થળોની જાણકારી માટે ગાઈડની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
અમદાવાદથી નડાબેટ સીમા દર્શન ટુર પેકેજ
અમદાવાદના રાણીપ બસ ડેપોથી આગામી 26મી એપ્રિલ થી દર શનિવારે અને રવિવારના રોજ સવારે 6 કલાકે GSRTC ની એસી વોલ્વો બસ નડાબેટ સીમા દર્શન માટે જશે. જેમાં બપોરે 12.30 કલાકે બસ નડાબેટ પહોંચશે જેમાં પ્રતિ વ્યક્તિ 1800 રૂપિયા ભાડું ચૂકવવાનું રહેશે.
અમદાવાથી વડનગર તાનારીરી એક્સપ્રેસ અને મોઢેરા સૂર્ય મંદિર ટુર પેકેજ
અમદાવાદ રાણીપ બસ ડેપોથી આગામી 26 એપ્રિલથી બસ સવારે 9 કલાકે ઉપડશે જે બપોરે 11.15 કલાકે વડનગર અને સાંજે 5.30 કલાકે મોઢેરા સૂર્યમંદિર પહોંચાડશે. જેમાં એક વ્યક્તિના 1100 રૂપિયા ટિકિટ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. જોકે આ ટુરમાં વડનગર ખાતે નવનિર્મિત મ્યુઝિયમ, તાનારીરી, હાટકેશ્વર મંદિર, કીર્તિ તોરણ, પ્રેરણા સ્કૂલ અને મોઢેરા સૂર્ય મંદિર ખાતે લાઈટ-સાઉન્ડ શોની મુલાકાત કરાવશે સાથે એક ગાઈડની વ્યવસ્થા પણ આપવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ટુરના કેટલાક નિયમો
અમદાવાથી સોમનાથ અને અમદાવાદથી નડાબેટ-વડનગર-મોઢેરાની વિશેષ ટુર પેકેજમાં ભોજન (લંચ, બ્રેકફાસ્ટ, ચા-પાણી, ડિનર) અને અન્ય વ્યક્તિગત ખર્ચ પ્રવાસીએ જાતે ભોગવવાનો રહેશે. સાથે રાજ્ય સરકારના આ પ્રવાસમાં પ્રવાસીઓને ગુજરાતના ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોની દર્શન/મુલાકાતનો લાભ આરામદાયક અને ઇકોનોમી ભાવે મળશે તેવી વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે. જોકે આ વિશેષ ટુર પેકેજમાં પ્રવાસ માટે અને વધુ માહિતી અને એડવાન્સ ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે GSRTCની વેબસાઈટ www.gsrtc.inની મુલાકાત લેવી.