Gujarat : શૈક્ષણિક દસ્તાવેજોમાં પિતાને બદલે માતાનું નામ ઉમેરી શકાશે. ગુજરાત સરકારની મંજૂરી મળ્યા બાદ હવે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વિશેષ નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે તેમજ નવી જોગવાઈઓ પણ દાખલ કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારી સિવિલ કોર્ટના આદેશો અને ગેઝેટ સહિતના પુરાવાના આધારે સુધારા કરી શકે છે.
ઠરાવ બાદ બોર્ડના નિયમમાં સુધારો
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ઓગસ્ટ 2022માં શિક્ષણ વિભાગમાં પત્ર લખીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ-1974ના વિનિયમ ક્રમાંક 12(ક)માં નવી જોગવાઈ ઉમેરી સુધારો કરવા માટે દરખાસ્ત કરાઈ હતી. દરખાસ્તને સરકાર દોઢ વર્ષ બાદ ધ્યાને લેતા તાજેતરમાં ગત મહિને વિનિયમોમાં સુધારો કરવાની મંજૂરી આપતો ઠરાવ કર્યો હતો.
બે નવી જોગવાઈ ઉમેરી
ઠરાવ મુજબ બોર્ડ દ્વારા વિનિમયોમાં બે નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે અને સુધારો કરવામાં આવ્યો છે. જેમાં પિતાના નામને બદલે માતાનું નામ લખવું હોય અને છૂટાછેડા કે પતિના અવસાનના કેસમાં સિવિલ કોર્ટના હુકમ તથા ગેઝેટમાં નામ દાખલ થયાના પુરાવા સાથે અન્ય આધાર-પુરાવા રજૂ કરવાથી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સુધારો કરી શકાશે.