દિવાળી 31 ઓક્ટોબર કે 1 નવેમ્બરે ઉજવાશે? જાણો તારીખ અને તિથિ

દિવાળીના તહેવારોને આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. પરંતુ સતત બીજા વર્ષે દિવાળીની ઉજવણી ક્યારે કરવી તેને લઈને ગૂંચવણ સર્જાઈ છે. આ વખતે વારાણસી-ઉજ્જૈન-મથુરા-વૃંદાવન-નાથદ્વારા-દ્વારકા-તિરુપતિમાં 31 ઑક્ટોબરે જ્યારે અયોધ્યા-રામેશ્વરમાં 1 નવેમ્બરના રોજ દિવાળીની ઉજવણી કરવામાં આવે તેવી સંભાવના છે. આમ, દિવાળીની ઉજવણી ક્યારે કરવી તેને લઈને જ્યોતિષાચાર્યો-શાસ્ત્રવિદોમાં પણ મતભેદની સ્થિતિ છે.

દિવાળીની ઉજવણી ક્યારે કરવી તેને લઈને દ્વિધા સર્જાઈ

ગત વર્ષે પણ પડતર દિવસને લીધે દિવાળીની ઉજવણી ક્યારે કરવી તેને લઈને દ્વિધા સર્જાઈ હતી. હવે આ વખતે ફરી એક વખત આ જ સ્થિતિનું નિર્માણ થયું છે. અયોધ્યામાં રામ મંદિરના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસના મતે લોકો કોઈ ભ્રમમાં પડ્યા વિના 1 નવેમ્બરના જ દિવાળીની ઉજવણી કરે. અનેક લોકો અલગ-અલગ તિથિ લખી નાખે છે. અમારી ગણતરી પ્રમાણે 1 નવેમ્બરે જ દિવાળી મનાવાશે.

જ્યોતિષ વિભાગના મતે 1 નવેમ્બરે દિવાળી છે જ નહીં

બીજી તરફ ઉજ્જૈનના જ્યોતિષાચાર્યોને મતે આ વર્ષે 31 ઑક્ટોબરે જ દિવાળી મનાવવી શ્રેષ્ઠ છે. લક્ષ્મી પૂજા માટે સાંજનો સમય હોવો જરૂરી હોય છે. 31 ઑક્ટોબરે સંધ્યાકાળના સમયે અમાસ છે અને એટલે આ દિવસે જ દિવાળી મનાવવી જોઈએ. બનારસ હિન્દુ મહાવિશ્વવિદ્યાલયના જ્યોતિષ વિભાગના મતે 1 નવેમ્બરે દિવાળી છે જ નહીં અને અમારી ગણતરી પ્રમાણે 31 ઑક્ટોબરે જ દિવાળી ઉજવાવી જોઈએ.

ભારતીય પંચાંગ પ્રમાણે ચંદ્રની કળાઓને 30 ભાગમાં વહેચવામાં આવી

દિવાળી બાદ પડતર દિવસની ઉજવણી સતત બીજા વર્ષે સર્જાઈ છે. ભારતીય પંચાંગ પ્રમાણે ચંદ્રની કળાઓને 30 ભાગમાં વહેચવામાં આવી છે જ્યારે હકીકતમાં ચંદ્ર એ 30 કળાઓને 30 દિવસ કરતાં ઓછા સમયમાં પૂર્ણ કરી લે છે. આથી દર મહિને પંચાંગમાં એકાદ તિથિનો ક્ષય કે વૃદ્ધિ થતી જોવા મળે છે. પડતર દિવસે સૂર્યોદય સમયે હજુ અમાસ હોય છે અને નવા વર્ષની પહેલી તિથિ શરુ થઈ હોતી નથી. સ્થાનિક રીતે કેટલાંક વિસ્તારોમાં આ વધારાનો દિવસ ગણી નવું વર્ષ બીજે દિવસે ઉજવાય છે તો કેટલાંક વિસ્તારોમાં આ દિવસને અવગણી તેને જ નવા વર્ષના પ્રારંભનો દિવસ ગણી ઉજવણી કરાય છે.

 

 

 

 

Scroll to Top