સરકાર લીલો દુકાળ જાહેર કરે, કોંગ્રેસના આ દિગ્ગજનેતાએ કરી માંગ

ગુજરાતમાં હાલ છેલ્લા કેટલાક દિવસથી ઘણાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જગતના તાતને મોટુ નુકસાન વેઠવું પડી રહ્યું છે. ખેડૂતોના મોઢે આવેલો કોળીયો છીનવાઈ ગયો છે. રાજ્યના ખેડૂતોના પાક વિમાના પ્રશ્નનને લઇને હવે કોંગ્રેસના નેતાઓ પણ ખેડૂતોની પડખે આવ્યા છે. કોંગ્રેસના નેતાઓએ માંગ કરી છે કે, લીલો દુકાળ જાહેર કરીને 10 હજાર કરોડ રૂપિયાનું પેકેજ ખેડૂતો માટે જાહેર કરવામાં આવે.

ખેડૂતો માટે 10 હજાર કરોડ રૂપિયાની સહાય જાહેર કરવી જોઇએ

ખેડૂતોના પાકને થયેલા નુકસાન અંગે કોંગ્રેસ નેતા લલિત કગથરાએ જણાવ્યું હતું કે, ‘વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે અને હાલમાં ખેડૂતોની હાલત ખૂબ જ ખરાબ છે. સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવાની કોઈ જાહેરાત કરાઈ નથી. તેથી સરકારે લીલો દુકાળ જાહેર કરને ખેડૂતો માટે 10 હજાર કરોડ રૂપિયાની સહાય જાહેર કરવી જોઇએ, જો ખેડૂતો માટે સહાયની જાહેરાત નહીં થાય તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે. 28મી ઓક્ટોબરથી સમગ્ર રાજ્યમાં આંદોલનની શરૂઆત કરાશે.

 

રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને માત્ર સહાયની વાતો કરવામાં આવે છે – કિરીટ પટેલ

બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યુ હતું કે રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને માત્ર સહાયની વાતો કરવામાં આવે છે. ભાજપ સરકારમાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોના આપઘાતની ઘટનામાં 11 ટકાનો વધારો થયો છે. સરકાર સરવેના નામે માત્ર નાટક કરી રહી છે. ઉદ્યોગપતિઓનું દેવું માફ કરવામાં આવે છે પરંતુ ખેડૂતોને કંઈ મળતું નથી.

 

રાજ્ય સરકારે પુરતી સહાય આપવી જોઈએ

ઉલ્લેખનીય છે કે, રાજ્યના વિવિધ ભાગોમાં પડેલા વરસાદના કારણે કપાસ, મગફળી, સોયાબીન, મરચા, ડુંગળી સહિતનાં તૈયાર પાકને વ્યાપક નુકસાન થયું છે. જેને લઈને પીડિત ખેડૂતોને વહેલી તકે યોગ્ય સહાય વળતર ચૂકવવા માંગ ઊઠી છે. કેન્દ્ર સરકારના 2016ના મેન્યુઅલ પ્રમાણે કુદરતી આપત્તિમાં રાજ્યોને પુરતી સહાય આપવી જોઈએ. આ વખતે રાજ્યમાં 140 ટકા વરસાદ થયો છે અને 14 જિલ્લામાં ખેતીના પાકો નષ્ટ થઈ ગયા છે. જે પાક બચ્યાં છે તેમાં ગુણવત્તાનો અભાવ જોવા મળે છે એટલે કે પ્રોડક્ટિવિટી ઘટી ગઈ છે, પરિણામે ઉત્પાદન પણ ઓછું થવાનો ભય છે.

 

Scroll to Top