Gujarat Congress: દ્વારકા જિલ્લામાં 200 થી વધારે ધાર્મિક સ્થળોને તોડી પાડવા માટે વહીવટી તંત્ર દ્વારા નોટીસ આપવામાં આવી છે.જેને લઈ કિસાન કોંગ્રેસ (Congress) ચેરમેન પાલ આંબલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે,ધાર્મિક સ્થળોના દબાણ દૂર કરવાની નોટિસો આપવામાં આવી છે તે પૈકી કેટલાય ધાર્મિક સ્થળો આઝાદી પહેલાના છે.આ દબાણો દૂર કરવામાં ન આવે તેવી વિનંતી છે.
પાલ આંબલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો
દ્વારકા જિલ્લામાં જે જે ધાર્મિક સ્થળોના દબાણ દૂર કરવાની નોટિસો આપવામાં આવી છે. તે પૈકી કેટલાય ધાર્મિક સ્થળો આઝાદી પહેલાના છે, કેટલાય સ્થળો પર રોજના હજારો લોકો આવે છે દરેક ગામનું ધાર્મિક સ્થળ એ ગામ માટે ભાઈચારા, કોમી એકતાનું પણ પ્રતીક છે. ગામડાઓમાં વાર તહેવારમાં આ જ સ્થળોએ લોકો જ્ઞાતિ, જાતિ ધર્મ જોયા વગર સામુહિક રીતે એકઠા થઇ હર્ષોલ્લાસ સાથે તહેવારો ઉજવે છે. ત્યારે સરકારને એવી તે શું જરૂરિયાત ઉભી થઇ કે, શહેરોમાં હજારો ચોરસ મીટર સરકાર જમીન દબાવીને બેઠેલા મોટા માથાઓએ કરેલા આ દબાણ દૂર કરવાને બદલે ગામડાંઓમાં અંતરિયાળ જગ્યાએ આવેલા મંદિરોમાં દબાણ દેખાઈ આવ્યુંને એ દૂર કરવાની નોટિસ આપી દીધી ??
પાલ આંબલીયાએ સરકારને આ સવાલ કર્યા
1) આ ધાર્મિક સ્થળો વર્ષોથી ત્યાંના ત્યાં જ છે એ આજકાલમાં સરકારી ખરાબાઓ કે ગૌચરની જમીન પચાવી પાડવાના બદ ઈરાદા સાથે બનાવેલ ધાર્મિક સ્થળ નથી તો સરકાર અચાનક આ ધાર્મિક સ્થળો તોડવા માટે ઉત્સુકત કેમ છે ??
2) આ ધાર્મિક સ્થળો લોકોની આસ્થા છે રોજ લોકો ત્યાં માથું ટેકવે છે સાથે મળીને રંગે ચંગે ધાર્મિક તહેવાર ઉજવે છે તો સરકારશ્રીને કોમી એખલાસના પ્રતીક સમાન આ ધાર્મિક સ્થળોને દૂર કરાવી સૌહાર્દપૂર્ણ વાતાવરણને ડહોડવાની શું જરૂરિયાત ઉભી થઇ ??
3) આ ધાર્મિક સ્થળો પૈકી મોટાભાગના ધાર્મિક સ્થળોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, પ્રમુખશ્રીઓ, નગરપાલિકાના સદસ્યશ્રીઓ, પ્રમુખશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંસદસભ્યશ્રીઓએ ભૂતકાળમાં ગ્રાન્ટની ફાળવણી કરી છે ને વહીવટી તંત્રએ ત્યાં એ ગ્રાન્ટ વાપરી કોઈને કોઈ ધાર્મિક સ્થળના કોઈ એક ભાગ આ ગ્રાન્ટથી બનેલો છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે જે તે સમયે આ જ ધાર્મિક સ્થળમાં ગ્રાન્ટ વાપરી છે તો શું દબાણ વાળી જગ્યાએ બનેલા ધાર્મિક સ્થળની પુરી ચકાસણી કર્યા વગર જ ગ્રાન્ટ વાપરવામાં આવી હતી ?? જ્યારે આ ધાર્મિક સ્થળોમાં ગ્રાન્ટ વાપરવામાં આવી ત્યારે તેમની કાયદેસરતા કેમ ચકાસવામાં ન આવી ?? આ ધાર્મિક સ્થળોની માવજત, મરામત કે તેમના વિકાસમાં સરકાર પોતે રૂપિયા વાપરે તેને ગેરકાયદેસર કેવી રીતે કહેવાય ???
4) અત્યારે ચાલુ વર્ષે દ્વારકા જિલ્લામાં જ સરકારની ઓછામાં ઓછી અંદાજે 20 કરોડની ગ્રાન્ટની ફાળવણી એવા ધાર્મિક સ્થળોમાં કરવામાં આવી છે કે જે સરકારી ખરાબાઓ કે ગૌચરની જમીન પર ઉભા છે ને ત્યાં પણ ગ્રાન્ટ વપરાઇ રહી છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે સરકાર એક તરફ આ ધાર્મિક સ્થળોમાં ગ્રાન્ટ વાપરી પ્રોત્સાહન આપે છે ને બીજી બાજુ એ જ ધાર્મિક સ્થળોને ગેરકાયદેસર ગણાવી ને તોડી પાડવા માટે નોટિસો આપવામાં આવે છે તો સરકારની આ બેધારી નીતિ કેમ ??
5) નામદાર સુપ્રીમ કોર્ટનો હવાલો આપીને ધાર્મિક સ્થળોને દબાણ દૂર કરવાની નોટિસમાં આપવામાં આવી છે ત્યારે હૂઁ આપનું ધ્યાન દોરવા માગું છું કે જેમ શહેરોમાં સરકારની ખૂબ કિંમતી જમીનોમાં સરકારના માનીતા આગેવાનોએ પોતાના વ્યક્તિગત લાભ માટે કબ્જો કરી, મોટા મોટા કોમર્શિયલ કોમ્પ્લેક્સ ઉભા કરી દીધા બાદ તેમને કાયદેસર કરવા માટે “ઇમ્પેક્ટ ફી” નો કાયદો આપ સરકાર જ લાવી હતી તો એવી જ રીતે આ લાખો લોકોના આસ્થા, સૌહાર્દ, ભાઈચારા, કોમી એખલાસના પ્રતિક સમાન ધાર્મિક સ્થળો માટે પણ સરકાર કાયદો બનાવી જ શકે છે ત્યારે સવાલ એ છે કે સરકાર આવો કાયદો લાવવાની જગ્યાએ ધાર્મિક સ્થળોને તોડી પાડવા માટે તલપાપડ કેમ થઈ રહી છે ???
6) ધાર્મિક સ્થળોને તોડી પાડવા ઉત્સુક સરકાર નામદાર કોર્ટના આદેશને આગળ કરી નોટિસો આપે છે તો હૂઁ સરકારશ્રીને યાદ કરાવવા માંગુ છું કે નામદાર ગુજરાત હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટના કેટલાય આદેશો આજે પણ પેન્ડીંગ છે તો સરકારશ્રીને ચેલેન્જ છે કે ધાર્મિક સ્થળો હટાવવાના આદેશનો અમલ કરતા પહેલા નામદાર ગુજરાત હાઈકોર્ટ ને નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા થયેલા અને પેન્ડિંગ હોય તેવા તમામ આદેશોનો અમલ કરી બતાવે
7) જો સરકારશ્રીને લાગતું જ હોય કે સરકારી જગ્યા કે ગૌચરની એકપણ જગ્યાએ ગેરકાયદેસર દબાણ ન હોવું જોઈએ તો સરકારે ઘડી કંપનીએ જે રાજાશાહી સમયના એક ગામથી બીજા ગામને જોડતો રાજમાર્ગ બંધ કરી દીધો છે તેને ધાર્મીક સ્થળોને તોડતા પહેલા તાત્કાલિક ખુલ્લોકરાવવો જોઈએ
8) જો સરકારશ્રીને લાગતું જ હોય કે સરકારી જગ્યા કે ગૌચરની એકપણ જગ્યાએ ગેરકાયદેસર દબાણ ન હોવું જોઈએ તો દ્વારકા જિલ્લામાં વિન્ડફાર્મ કંપનીઓને કલેકટરશ્રીએ આપેલી જગ્યાના બદલે અન્ય સરકારી જગ્યાએ વિન્ડપોલ ઉભા કરી સરકારી જગ્યા પર દબાણ કરી લીધું છે. તેવી જ રીતે સરકારશ્રીના વર્તમાન નિયમોનુસાર કોઈપણ વિન્ડપોલ નેશનલ હાઇવે, રાજ્ય ધોરીમાર્ગ થી લઈ ગ્રામ માર્ગોથી એક યોગ્ય અંતરે હોવા જોઈએ જે નિયમનું પાલન કર્યા વગર વિન્ડપોલ ઉભા કરી દેવામાં આવ્યા છે તો ધાર્મિક સ્થળોને હટાવતા પહેલા આ વિન્ડપોલને હટાવવાની હિંમત 56 ઇંચની છાતીવાળી સરકારમાં છે ખરી ??
9) જો સરકારશ્રીને લાગતું જ હોય કે સરકારી જગ્યા કે ગૌચરની એકપણ જગ્યાએ ગેરકાયદેસર દબાણ ન હોવું જોઈએ તો દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયા, ભાણવડ, દ્વારકા સહિતના શહેરોમાં સરકારના માનીતા લોકોએ પોતાના વ્યક્તિગત લાભ માટે સરકારની માલિકીની ખૂબ કિંમતી જગ્યામાં મોટા મોટા કોમર્શિયલ કોમ્પલેક્ષ, પોતાના મકાન, ઓફિસો, હોટેલો બનાવીને બેઠા છે હૂઁ સરકારશ્રીને ચેલેન્જ સાથે કહું છું કે સરકારમાં તાકાત હોય તો ધાર્મિક સ્થળોને હટાવતા પહેલા આ દબાણો દૂર કરીને બતાવે.