હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને એવી ચર્ચાઓ થઈ રહી હતી કે કોંગ્રેસ વધુ મજબૂત થઈ રહી છે. જેમાં હરિયાણાની એક્ઝિટ પોલમાં કોંગ્રેસની મજબૂત જીતના દાવા પણ કરવામાં આવ્યા હતા, છતાં પરિણામોમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો અને ભાજપ સતત ત્રીજી વખત સત્તામાં આવ્યું એ પરિણામ હજુ પણ કોંગ્રેસ માટે અભ્યાસનો વિષય છે.
ટિકિટ ન મળતાં ઉમેદવારો બળવો કરે તેવી દહેશત
હરિયાણાની આ હાર પાછળ કોંગ્રેસના વિશ્લેષણમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આંતરિક જૂથવાદ અને સીએમ પદને લઈને ટકરાવને કારણે આ સ્થિતિ બની છે. હવે મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસની સામે આવી જ સ્થિતિ ઊભી થઈ છે.એક તરફ ટિકિટ ન મળતાં ઉમેદવારો બળવો કરે તેવી દહેશત છે તો બીજી તરફ ઉદ્ધવ સેના અને શરદ પવાર સાથે બેઠક વહેંચણીને લઈને મતભેદો ચાલુ જ છે. ભાજપે એકનાથ શિંદે સેના અને અજિત પવારની એનસીપી સાથે બેઠક વહેંચણી લગભગ નક્કી કરી લીધી છે.
ભાજપ 150 જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતારશે
ભાજપ 150 જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતારશે અને તેમાંથી 99ના નામ જાહેર કરીને તેણે લીડ મેળવી લીધી છે. 20 નવેમ્બરે યોજાનાર મતદાનમાં ભાજપ હાલમાં આગળ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટી આના દ્વારા પોતાના પ્રચારને તેજ કરવા માંગે છે અને ઉમેદવારોને પૂરો સમય આપવા માટે સમયસર જાહેરાતો કરવામાં આવી રહી છે.
મહાવિકાસ અઘાડી વચ્ચે સીએમ ચહેરાને લઈને જંગ
આવી સ્થિતિમાં કોંગ્રેસના હાથમાંથી બાજી જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. મહારાષ્ટ્રમાં પણ મહાવિકાસ અઘાડી વચ્ચે સીએમ ચહેરાને લઈને જંગ છે. ઉદ્ધવ સેના પહેલા સીએમ ચહેરા પર સર્વસંમતિ ઇચ્છે છે, જ્યારે કોંગ્રેસ આ બાબતે પછી ચર્ચા કરવા માંગે છે. હાલ કોંગ્રેસનું ફોકસ વધુમાં વધુ બેઠકો પર ચૂંટણી લડવામાં છે. આ માટે તેમણે લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો જીતવાની દલીલ કરી છે.