મણિપુરમાં હાલ સ્થિતિ ખૂબ જ તંગ છે. રાજ્ય એક વર્ષથી વધુ સમયથી હિંસાથી પ્રભાવિત છે. તાજા સંજોગોએ ફરી એકવાર બીરેન સરકારની ટેન્શન વધારી દીધી છે. નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)એ બિરેન સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું છે. એનપીપી દ્વારા સમર્થન પાછું ખેંચવાથી મુખ્યમંત્રી એન બિરેન સિંહ તેમની ખુરશી ગુમાવશે? એસેમ્બલીમાં સંખ્યાની રમત શું છે?
NPPએ સમર્થન પાછું ખેંચ્યું
મણિપુરની તાજેતરની સ્થિતિને જોતા નેશનલ પીપલ્સ પાર્ટીએ મણિપુરની ભાજપની આગેવાનીવાળી સરકારમાંથી સમર્થન પાછું ખેંચી લીધું છે. NPPએ કહ્યું છે કે બિરેન સરકાર હિંસાગ્રસ્ત મણિપુરમાં સ્થિતિ સામાન્ય કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને લખેલા પત્રમાં એનપીપીએ દાવો કર્યો છે કે મણિપુરમાં છેલ્લા કેટલાક દિવસોમાં સ્થિતિ વધુ ખરાબ થઈ છે. અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે.
વિધાનસભામાં ભાજપને કઈ અસર નહીં પડે
60 સભ્યોની મણિપુર વિધાનસભામાં NPPના સાત ધારાસભ્યો છે. NPPનું સમર્થન પાછું ખેંચવાથી બીરેન સરકારને કોઈ ફરક પડશે નહીં. NDA ધારાસભ્યોની કુલ સંખ્યા 53 છે. તેમાંથી ભાજપના ધારાસભ્યોની સંખ્યા 37 છે જ્યારે નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF) પાસે પાંચ ધારાસભ્યો, જેડીયુના એક અને ત્રણ અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે. વિરોધ પક્ષોમાં કોંગ્રેસ પાસે પાંચ અને કેપીએ પાસે બે ધારાસભ્યો છે. અગાઉ, કુકી પીપલ્સ પાર્ટી (KPA) એ જાતિ હિંસાને ધ્યાનમાં રાખીને રાજ્યની NDA સરકારમાંથી સમર્થન પાછું ખેંચી લીધું હતું.
લોકોએ મંત્રીઓના ઘર પર આગ ચાંપી
મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. હિંસક વિરોધની તાજેતરની ઘટનાઓ શનિવારે રાત્રે બની હતી. જિરીબામ જિલ્લામાં આતંકવાદીઓએ ત્રણ મહિલાઓ અને ત્રણ બાળકોની હત્યા કરી હતી. આ ઘટનાથી નારાજ લોકોએ 16 નવેમ્બરે મણિપુરના ત્રણ મંત્રીઓ અને છ ધારાસભ્યોના ઘર પર હુમલો કર્યો હતો. તેમના ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ પછી રાજ્યમાં સ્થિતિ તંગ બની ગઈ હતી. સાત જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
અમિત શાહે સમીક્ષા બેઠક કરી
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે મણિપુરની વર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં, કેન્દ્રીય ગૃહ પ્રધાને ઉચ્ચ અધિકારીઓને ઉત્તર-પૂર્વીય રાજ્યમાં શાંતિ સુનિશ્ચિત કરવા માટે તમામ સંભવિત પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. મણિપુરની વર્તમાન સ્થિતિનો અંદાજ એ વાત પરથી મળી શકે છે કે ગૃહમંત્રી અમિત શાહે રવિવારે મહારાષ્ટ્રમાં તેમની તમામ રેલીઓ રદ કરી દીધી અને અચાનક નાગપુરથી દિલ્હી આવી ગયા. દિલ્હી આવ્યા બાદ શાહે અધિકારીઓ સાથે મણિપુરમાં સુરક્ષાની સ્થિતિનો તાગ મેળવ્યો હતો.