ખેડૂતોનો પાક નુકસાન થતા બજારની હાલત કફોડી, વેપારીઓએ સરકાર સામે કરી આ માંગ

સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદના કારણે અનેક જગ્યાઓએ ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. અને ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે તેની અસર દિવાળીની ખરીદીમાં પણ જોવા મળી રહી છે. દિવાળી નજીક હોવા છતાં પણ રાજકોટની બજારોમાં હાલ અન્ય વર્ષોની સરખામણીમાં લોકોની ટ્રાફિક ઓછી જોવા મળી રહી છે.

વરસાદના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો

વેપારીઓ જણાવી રહ્યા છે કે, ગ્રામ્ય વિસ્તારમાં પડેલા વરસાદના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. તેના કારણે ખેડૂતો પાસે રૂપિયા નથી એટલા માટે તેઓ ખરીદી માટે આવતા નથી. જેની અસર આમારા વેપાર પર પડી રહી છે. ખેડૂતોને સરકાર વહેલી તકે સહાય ચૂકવશે તો બજારમાં થોડી રોનક જોવા મળશે. ખેડૂતના નુકસાનના કારણે મજૂરો પણ બજારમાં ખરીદી માટે નથી આવતા.

મજૂરો પણ બજારમાં ખરીદી માટે નથી આવતા

ઓનલાઇન અને બ્રાન્ડેડના જમાનામાં ખેડૂતો અને મધ્યમ વર્ગના લોકો જ બજારમાં ખરીદી કરવા આવતા હોય છે. પરંતુ આ વખતે મધ્યમ વર્ગના લોકો પણ બજારમાં જોઈએ તેવી ખરીદી કરવા માટે આવતા નથી. ખેડૂતોને નુકસાન થયું હોવાના કારણે તેઓ પણ જરૂર પૂરતી જ ખરીદી કરી રહ્યા છે. અન્ય વર્ષની સરખામણીએ બજારમાં 40 ટકા જ ટ્રાફિક જોવા મળી રહ્યો છે.

બજારમાં 40 ટકા જ ટ્રાફિક જોવા મળી – વેપારી

બજારના વેપારીઓનું કહેવાનું છે કે, આ વખતે કમોસમી વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને ઘણું બધું નુકસાન પહોંચ્યું છે. જેમના કારણે વેપારમાં ઘણી બધી અસર જોવા મળી રહી છે. ગત વર્ષ કરતા આ વર્ષે 40% વેપાર જોવા મળી રહ્યો છે. ખેડૂતોને નુકસાન થયું હોવાના કારણે તેઓ ખરીદી કરવા આવતા નથી અને અમારી બજારમાં સૌથી વધુ ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડૂતો અને સામાન્ય લોકો જ આવે છે. કમોસમી વરસાદની અસર ખેડૂતો સાથે વેપારીઓમાં પણ જોવા મળી રહી છે.

 

 

 

Scroll to Top